
નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટમાં બિહાર અને આંધ્રપ્રદેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોટી જાહેરાતો કરી છે. આ સિવાય દેશભરના 100 શહેરોની તસવીર બદલવાની પણ જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યું કે આ શહેરોમાં પાણી પુરવઠા, પાણી શુદ્ધિકરણ અને કચરાના વ્યવસ્થાપન માટેના પ્રોજેક્ટ શરુ કરવામાં આવશે. લોકસભામાં બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ કહ્યું કે આ પ્રોજેક્ટ્સમાં સિંચાઈ માટે ટ્રીટેડ વોટરનો ઉપયોગ કરવાનો પણ વિચાર છે. આ રીતે સિંચાઈ માટે પાણીની અછત દૂર થશે. આ ઉપરાંત પ્રદુષિત પાણીના નિકાલનો પ્રશ્ન પણ ઘણે અંશે હલ થશે.
ગટર વ્યવસ્થા અને ઘન કચરાના વ્યવસ્થાપનને પ્રોત્સાહન
તેમણે કહ્યું, 'અમે રાજ્ય સરકારો અને બહુપક્ષીય વિકાસ બેંકો સાથે ભાગીદારીમાં 100 મોટા શહેરો માટે પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા અને ઘન કચરાના વ્યવસ્થાપન પ્રોજેક્ટ્સ અને સેવાઓને પ્રોત્સાહન આપીશું.' સરકારે બજેટમાં પૂર્વોદયના વિકાસ માટે પૂર્વોદય યોજના શરૂ કરી છે. નાણામંત્રીએ કહ્યું કે અમૃતસર-કોલકાતા ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર તૈયાર થઈ જશે અને તેનું કેન્દ્ર ગયામાં હશે.
આંધ્રપ્રદેશમાં પણ ઔદ્યોગિક વિકાસ પર ભાર મૂકવામાં આવશે. આ અંતર્ગત વિશાખાપટ્ટનમ-ચેન્નઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરની જાહેરાત કરવામાં આવી છે. હૈદરાબાદથી બેંગલુરુ સુધીના કોરિડોરની પણ જાહેરાત કરવામાં આવી છે. આ રીતે, સરકારે શહેરી વિકાસની સાથે ઔદ્યોગિક આયોજન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ સિવાય સરકારે ગ્રામીણ વિકાસ પર મોટા ખર્ચની પણ જાહેરાત કરી છે અને 2.5 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. 1.52 લાખ કરોડ રૂપિયા ખેડૂતો અને ખેતી પર ખર્ચવામાં આવશે. મહિલાઓ અને યુવતીઓને લગતી યોજનાઓ પર 3 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.