
દરેક વ્યક્તિની કામ કરવાની પોતાની રીત હોય છે. ઘણા લોકો એવા હોય છે જેમને નવથી પાંચની નોકરી કમ્ફર્ટેબલ નથી લાગતી. તેઓ કામમાં સ્વતંત્રતા અને વધુ સુગમતા ઈચ્છે છે અને તેથી તેઓ ફ્રીલાન્સિંગનો માર્ગ અપનાવે છે. ફ્રીલાન્સર તરીકે તેઓ એકસાથે અનેક પ્રોજેક્ટ્સ અથવા કંપનીઓ માટે કામ કરે છે. ફ્રીલાન્સર ભલે ડેડલાઈન્સ પર કામ કરે છે, છતાં પણ તેને પોતાનું કામ કરવામાં ઘણી સ્વતંત્રતા હોય છે.
આ જ કારણ છે કે ઘણા લોકો ફ્રીલાન્સિંગ ક્ષેત્રમાં પોતાના માટે ઉજ્જવળ ભવિષ્ય જુએ છે. જોકે, આ ક્ષેત્ર બહારથી દેખાય છે તેટલું સરળ નથી. આ ક્ષેત્રમાં ઘણી ક્ષણો એવી આવે છે જ્યારે તે રોલરકોસ્ટર જેવું લાગે છે. ક્લાયંટ પાસેથી પેમેન્ટ મેળવવાથી લઈને ટાઈમ મેનેજમેન્ટ સુધી, ઘણી બધી બાબતો તમારા માટે પડકારરૂપ બની શકે છે. જો તમે પણ ફ્રીલાન્સર તરીકે સફળ કારકિર્દી બનાવવા માંગતા હોવ, તો તમારે આ પડકારોને સમજવા જોઈએ અને તેનો સામનો કરવાની રીતો જાણવી જોઈએ. તો આજે આ લેખમાં અમે તમને ફ્રીલાન્સિંગ ક્ષેત્રના કેટલાક પડકારો અને તેમને હેન્ડલ કરવાની રીતો વિશે જણાવી રહ્યા છીએ.
કોઈ નિશ્ચિત આવક ન હોવી
જ્યારે તમે નોકરી કરો છો, ત્યારે તમને દર મહિને પગાર તરીકે એક નિશ્ચિત રકમ મળે છે. જેના કારણે દરેક વસ્તુઓને મેનેજ કરવી ખૂબ જ સરળ બની જાય છે. પરંતુ ફ્રીલાન્સર સાથે નથી આવું થતું. કેટલાક મહિનામાં તમારી પાસે ઘણા પૈસા હોઈ શકે છે, જ્યારે અન્ય મહિનામાં તમારા ખર્ચાઓ પૂરા કરવામાં પણ મુશ્કેલી પડી શકે છે. આ સમસ્યાનો સામનો કરવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તમારી આવકને વિવિધ સ્ટ્રીમમાં વહેંચો. ઉદાહરણ તરીકે, કેટલાક ટૂંકા ગાળાના અને કેટલાક લાંબા ગાળાના પ્રોજેક્ટ રાખો. જેથી તમને આવક અંગે ક્યારેય કોઈ સમસ્યા ન થાય. આ ઉપરાંત, એક ઈમરજન્સી ફંડ બનાવો અને આવક અંગે અનિશ્ચિતતા હોય ત્યારે આ ફંડનો ઉપયોગ કરો.
સમયસર પેમેન્ટ ન મળવું
ફ્રીલાન્સર માટે આ એક મોટો પડકાર બની શકે છે. ઘણી વખત એવું બને છે કે તમે કેટલાક પ્રોજેક્ટ્સ પર કામ કરો છો, પરંતુ તે પૂર્ણ થયા પછી ક્લાયંટ તમને પૈસા આપવાનો ઈનકાર કરે છે અથવા તમારે વારંવાર તેમની પાસેથી પૈસા માંગવા પડે છે. આ માનસિક રીતે ખૂબ જ થકવી નાખનારું હોઈ શકે છે. આવી સમસ્યાઓ ટાળવા માટે, હંમેશા કામની શરૂઆતમાં કોન્ટ્રાક્ટ સાઈનકરો. વધુમાં, તમે અગાઉથી અડધું પેમેન્ટ લિ શકો છો. આ ઉપરાંત, ફક્ત એવી સારી કંપનીઓ સાથે જ કામ કરવાનો પ્રયાસ કરો કે જેમની સાથે તમે લાંબા સમય સુધી કામ કરી શકો અને વારંવાર પેમેન્ટ અંગે સમસ્યા ન આવે.
ઓવરર્વક અને બર્નઆઉટ
ફ્રીલાન્સર ઘણીવાર ઓવરવર્ક અને બર્નઆઉટની પરિસ્થિતિઓનો સામનો કરે છે. ફ્રીલાન્સર્સને ઘરેથી કામ કરવું પડે છે, જેના કારણે તેઓ તેમના અંગત અને વ્યાવસાયિક જીવન વચ્ચે અંતર નથી જાળવી શકતા અને તેઓ બર્નઆઉટ થઈ શકે છે. એટલું જ નહીં, વધુ કમાણી કરવા માટે, તેઓ ઘણીવાર એકસાથે ઘણા પ્રોજેક્ટ્સ હાથમાં લે છે અને પછી ઓવરવર્કને કારણે તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે. આ સમસ્યાનો સામનો કરવા માટે, એક સમયે એટલા જ પ્રોજેક્ટ્સ પર કામ કરો જેટલા તમે સરળતાથી મેનેજ કરી શકો. આ સિવાય કામ વચ્ચે બ્રેક લો જેથી તમે માનસિક રીતે થાકી ન જાઓ. આ ઉપરાંત, જો તમે ઘરેથી કામ કરી રહ્યા હોવ, તો પણ તમારો વ્યક્તિગત અને વ્યાવસાયિક સમય જાતે નક્કી કરો. આનાથી તમે બર્નઆઉટની સમસ્યાથી સરળતાથી પોતાને બચાવી શકશો.