
સમાચાર એજન્સી પીPTIના અહેવાલ મુજબ, આવકવેરા વિભાગે તાજેતરમાં હજારો વ્યક્તિઓને આવકવેરા નોટિસ મોકલી છે જેમણે 2023-24 અને 2024-25ના આકારણી વર્ષ માટે તેમના રિટર્નમાં તેમની ક્રિપ્ટો આવકની જાણ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
કરદાતાઓને શા માટે ફટકારવામાં આવી રહી છે નોટિસ?
આ પગલું વિભાગના નોન-ઇન્ટ્રુસિવ યુઝ ઓફ ડેટા ટુ ગાઇડ એન્ડ ઇનેબલ (NUDGE) પહેલનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય કોઈપણ બળજબરી વિના સ્વૈચ્છિક પાલનને પ્રોત્સાહન આપવાનો છે. અધિકારીઓનું કહેવું છે કે, ઘણા કરદાતાઓએ કાં તો ફરજિયાત 'શેડ્યૂલ VDA' ફાઇલ કર્યું ન હતું અથવા ક્રિપ્ટોકરન્સી જેવી વર્ચ્યુઅલ ડિજિટલ સંપત્તિઓમાંથી થતા લાભની પ્રકૃતિ ખોટી રીતે રજૂ કરી હતી. ઘણા કરદાતાઓ પર ક્રિપ્ટોમાં રોકાણ કરવા માટે બિનહિસાબી નાણાનો ઉપયોગ કરવાની શંકા છે, જેનાથી સંભવિત કરચોરી અને મની લોન્ડરિંગનો ભય વધી રહ્યો છે.
શું છે આવકવેરાના નિયમો?
આ સૂચના એક રીમાઇન્ડર તરીકે છે. ક્રિપ્ટોમાંથી થતી બધી આવક પછી ભલે તે ટ્રેડિંગ, માઇનિંગ, સ્ટેકિંગ, એરડ્રોપ્સ અથવા ક્રિપ્ટોમાં ચૂકવવામાં આવતા પગારમાંથી હોય, તમારા આવકવેરા રિટર્ન (ITR) માં જાહેર કરવી આવશ્યક છે.
આવકવેરા કાયદાની કલમ 115BBH હેઠળ, VDAમાંથી થતી આવક પર હોલ્ડિંગ સમયગાળાને ધ્યાનમાં લીધા વિના, 30 ટકાના દરે કર લાદવામાં આવે છે. સંપાદન ખર્ચ સિવાય કોઈ કપાતની મંજૂરી નથી. તમે કોઈપણ અન્ય આવક સામે ક્રિપ્ટો નુકસાનને સરભર કરી શકતા નથી અથવા આગળ લઈ જઈ શકતા નથી. આ ઉપરાત આઇટી એક્ટ 194એસ હેઠળ સ્રોત પર 1 ટકો ટીડીએસ તમામ ક્રિપ્ટોની લેવડ દેવડ પર લાગુ થાય છે.
આયકર અધિકારીઓ કહે છે કે જ્યારે રોકાણકારો વિદેશી અથવા અનિયંત્રિત પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે જે TDS કાપતા નથી અથવા યોગ્ય વ્યવહારનુ સંક્ષિપ્ત વિવરણ આપતા નથી ત્યારે ઘણીવાર વિસંગતતાઓ ઊભી થાય છે.