
અક્ષય ખન્ના (Akshaye Khanna) બોલિવૂડના એવા મહાન કલાકારોમાંથી એક છે જેને ઘણીવાર અંડરરેટેડ કહેવામાં આવે છે. સ્વર્ગસ્થ અભિનેતા વિનોદ ખન્નાના પુત્ર અક્ષયે પોતાના પિતા સાથે ફિલ્મ 'હિમાલય પુત્ર' થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે, આ પછી તેણે ફરી ક્યારેય વિનોદ ખન્ના સાથે સ્ક્રીન શેર ન કરી.
એક ઇન્ટરવ્યુમાં, અક્ષય ખન્ના (Akshaye Khanna) એ તેના પિતા સાથે કામ ન કરવાનું કારણ જણાવ્યું અને એમ પણ કહ્યું કે તે બીજા કોઈ અનુભવી અભિનેતા સાથે કામ કરવાનું ટાળે છે.
પિતા વિનોદ ખન્ના સાથે કામ નહતો કરવા માંગતો
અક્ષય ખન્ના (Akshaye Khanna) ની પહેલી ફિલ્મ 'હિમાલય પુત્ર' 1997માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેના પિતા વિનોદ ખન્ના ઉપરાંત હેમા માલિની, ડેની ડેન્ઝોંગપા, અમરીશ પુરી અને જોની લીવર જેવા મોટા સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા. એવું કહેવાય છે કે અક્ષય અને તેના પિતા વિનોદ ખન્ના વચ્ચે થોડો જટિલ સંબંધ હતો, તેમ છતાં, અક્ષય તેના પિતાની આધ્યાત્મિક યાત્રા અને વ્યક્તિત્વનો ખૂબ આદર કરતો હતો.
એક ઇન્ટરવ્યુમાં, અક્ષય ખન્ના (Akshaye Khanna) એ કહ્યું હતું કે તેના પિતા સાથે કામ કરવું તેના માટે ખૂબ જ પડકારજનક અનુભવ હતો. અભિનેતાએ કહ્યું હતું કે, "કેટલાક લોકો એવા હોય છે તેમની સાથે કામ કરવું તમારા આત્મવિશ્વાસ માટે મુશ્કેલ હોય છે. મારા પિતા તેમાંથી એક છે અને અમિતાભ બચ્ચન પણ તેમાંથી એક છે. તેમની સાથે એક જ ફ્રેમમાં ઊભા રહેવું ખૂબ જ મુશ્કેલ છે."
પિતાના વ્યક્તિત્વને કારણે લીધો હતો નિર્ણય
અક્ષય (Akshaye Khanna) એ આગળ ખુલાસો કર્યો હતો કે તે તેના પિતા સાથે ફરીથી કેમ કામ કરવા નહતો માંગતો. તેણે કહ્યું, "મારા પિતાની સ્ક્રીન પ્રેઝેન્સ એટલી પ્રભાવશાળી હતી કે તેમની સામે ઊભા રહેવું મુશ્કેલ હતું. તમારી પાસે કાં તો તે પ્રકારનો કરિશ્મા છે અથવા નથી. મારી પાસે તે સ્ક્રીન પ્રેઝેન્સ નથી. કેટલાક કલાકારો એવા છે જે સ્ક્રીન પર આવતાની સાથે જ તમને સંપૂર્ણપણે આકર્ષિત કરી દે છે, મારા પિતા તેમાંથી એક હતા."
ઉલ્લેખનીય છે કે વિનોદ ખન્ના માત્ર એક મહાન અભિનેતા જ નહતા, પરંતુ એક સ્ટાઇલ આઈકોન પણ હતા. તેમને મરણોત્તર દાદાસાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. લાંબી બીમારી બાદ 27 એપ્રિલ 2017ના રોજ તેમનું અવસાન થયું હતું.