
બોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપે દર્શકોને 'ગેંગ્સ ઓફ વાસેપુર', 'ગુલાલ', 'દેવ ડી' સહિત ઘણી ક્લાસિક ફિલ્મો આપી છે. પરંતુ, હવે તેણે એક જાહેરાતથી તેના ફેન્સને ચોંકાવી દીધા છે. અનુરાગ કશ્યપે મુંબઈ છોડવાનો નિર્ણય લીધો છે અને તેણે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. અનુરાગ કશ્યપે હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે મુંબઈ છોડી રહ્યો છે. આ સાથે તેણે પોતાના નિર્ણયનું કારણ પણ જાહેર કર્યું અને કહ્યું કે હવે ફિલ્મો બનાવવાની એ મજા નથી રહી જે પહેલા હતી. અનુરાગે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: 'રાઉડી રાઠોર 2' સંબંધિત અપડેટ સામે આવ્યું, ફેન્સને હજુ પણ જોવી પડશે રાહ
અનુરાગ કશ્યપે મુંબઈ છોડવાનો નિર્ણય કર્યો
ઇન્ટરવ્યુમાં અનુરાગ કશ્યપે મુંબઈ છોડવાના નિર્ણય વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે તે મુંબઈ છોડીને 2025ના અંત સુધીમાં દક્ષિણમાં શિફ્ટ થઈ જશે. આ સાથે તેણે બોલિવૂડ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી અને તેની પાછળનું કારણ ટેલેન્ટ એજન્સીઓને જણાવ્યું. ફિલ્મ નિર્માતાનું કહેવું છે કે ટેલેન્ટ એજન્સીઓ નવા કલાકારો માટે ખોટો ટ્રેન્ડ સેટ કરી રહી છે. કારણ કે, આ એજન્સીઓ કલાકારોની કળાને માન આપવાને બદલે તેમને સ્ટાર બનાવવા પર ધ્યાન આપે છે. જો કોઈ તેમની અપેક્ષા મુજબનું પ્રદર્શન ન કરે તો તે પાછળ રહી જાય છે.
હું હવે પ્રયોગ નથી કરી શકતો: અનુરાગ કશ્યપ
અનુરાગ કશ્યપે કહ્યું- 'હવે હું બહાર જઈને કોઈ પ્રયોગ નથી કરી શકતો, કોઈ અલગ પ્રકારની ફિલ્મ નથી બનાવી શકતો, કારણ કે હવે બધી વાત પૈસા પર આવે છે. મારા પ્રોડ્યુસર પણ માત્ર નફા અને માર્જિન વિશે જ વિચારે છે. ફિલ્મ શરૂ થતા પહેલા વિચારવા લાગે છે કે તેઓ તેને કેવી રીતે વેચશે. જેથી ફિલ્મો બનાવવાનો એ આનંદ હવે નથી રહ્યો. તેથી, મેં આવતા વર્ષ સુધીમાં મુંબઈ છોડીને દક્ષિણમાં શિફ્ટ થવાનું નક્કી કર્યું છે. હું ત્યાં જઈને કામ કરવા માંગુ છું જ્યાં લોકો ઉત્સુક હોય. હું મારી ઈન્ડસ્ટ્રીના વિચારથી પરેશાન અને નિરાશ છું.
'બોલિવૂડનું ફોકસ રિમેક બનાવવા પર છે'
અનુરાગ કશ્યપે આગળ કહ્યું- 'મંજુમ્મેલ બોયઝ જેવી ફિલ્મો ત્યાં સુધી નહીં બની શકે જ્યાં સુધી તેઓ તેની રિમેક બનાવવાનું વિચારતા રહે. હવે તેમની વિચારસરણી એવી છે કે તેમણે ફરી તે ફિલ્મ બનાવવી જોઈએ જે કામ કરી ચૂકી છે, તેમણે કંઈ નવું ન કરવું જોઈએ. હાલની પેઢી સાથે કામ કરવું પણ મુશ્કેલ બની ગયું છે, કારણ કે તેઓ માત્ર સ્ટાર બનવા માંગે છે. તે એક્ટિંગ નથી કરવા માંગતા. એજન્સીઓ પહેલા તો કોઈને સ્ટાર નથી બનાવતી, પરંતુ જ્યારે કોઈ એક્ટર સ્ટાર બની જાય છે ત્યારે તેની પાસેથી ઘણા પૈસા લૂંટવા લાગે છે. જ્યારે, તેમનું કામ સારા પ્રતિભાશાળી કલાકારોને શોધવાનું છે.
ટેલેન્ટ એજન્સીઓ વિશે કહી આ વાત
'જ્યારે કોઈ ફિલ્મ બને છે, ત્યારે ટેલેન્ટ એજન્સીઓ પહેલા અભિનેતાને પકડે છે અને તેને સ્ટાર બનાવવાનું શરૂ કરે છે. તેમના મગજમાં ખોટી વાતો મૂકવામાં આવે છે. તેમને કહેવામાં આવે છે કે સ્ટાર બનવા માટે તેમને શું કરવું પડશે. તેઓ કલાકારોને વર્કશોપમાં નથી મોકલતા, તેઓ જીમમાં મોકલે છે. હવે બધું ગ્લેમર પર જ છે, કારણ કે દરેક વ્યક્તિ મોટા સ્ટાર બનવા માંગે છે. એક અભિનેતાએ કેટલીક એજન્સીની વાત સાંભળીને મારી ફિલ્મ છોડી દીધી હતી, પરંતુ પાછળથી પાછો આવ્યો કારણ કે તે એજન્સીએ તેની સાથે છેતરપિંડી કરી હતી.