
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલાના કેસમાં છત્તીસગઢના દુર્ગમાંથી અટકાયત કરાયેલા આકાશ કનૌજિયા નામના વ્યક્તિએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ન્યાયની પણ માંગણી કરી છે. આકાશે રવિવારે (26મી જાન્યુઆરી) જણાવ્યું કે, 'પોલીસ કાર્યવાહી પછી મારૂ જીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે, મારી પાસે કોઈ નોકરી નથી અને પરિવાર બદનક્ષીનો સામનો કરી રહ્યો છે.'
આ પણ વાંચો: સરકાર પોતાની ભૂલને કારણે શાહરૂખ ખાનને ચૂકવશે 9 કરોડ રૂપિયા, જાણો સમગ્ર મામલો
18મી જાન્યુઆરીએ આકાશ કનૌજિયાની અટકાયત કરી હતી
અહેવાલો અનુસાર, મુંબઈ પોલીસની સૂચનાના આધારે, રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ 18મી જાન્યુઆરીના રોજ દુર્ગ સ્ટેશન પર મુંબઈ લોકમાન્ય તિલક ટર્મિનસ-કોલકાતા શાલીમાર જ્ઞાનેશ્વરી એક્સપ્રેસમાંથી 31 વર્ષીય આકાશ કનૌજિયાની અટકાયત કરી હતી. 19મી જાન્યુઆરીની સવારે, મુંબઈ પોલીસે થાણેના પાડોશી વિસ્તારમાંથી બાંગ્લાદેશી નાગરિક શરીફુલ ઇસ્લામની ધરપકડ કરી હતી, ત્યારબાદ દુર્ગ આરપીએફે આકાશ કનૌજિયાને છોડી દીધો હતો.
'એક ભૂલે મારું જીવન બરબાદ કરી નાખ્યું'
મીડિયા સાથેની વાતચીતમાં આકાશ કનૌજિયાએ જણાવ્યું હતુ કે, "જ્યારે મીડિયાએ મારા ફોટા બતાવવાનું શરૂ કર્યું અને દાવો કર્યો કે હું આ કેસમાં મુખ્ય શંકાસ્પદ છું ત્યારે મારો પરિવાર આઘાત પામ્યો અને રડી પડ્યો. મુંબઈ પોલીસની એક ભૂલે મારું જીવન બરબાદ કરી દીધું. તેઓ એ વાત પર ધ્યાન આપવામાં નિષ્ફળ ગયા કે મારી મૂછો છે અને અભિનેતાના મકાનમાં સીસીટીવી ફૂટેજમાં દેખાતા માણસની મૂછ નહોતી."
તેમણે દાવો કર્યો કે, 'ઘટના પછી, મને પોલીસનો ફોન આવ્યો અને તેઓએ મને પૂછ્યું કે હું ક્યાં છું. જ્યારે મેં તેમને કહ્યું કે હું ઘરે છું, ત્યારે ફોન કાપી નાખવામાં આવ્યો. હું મારી થનારી દુલ્હનને મળવા જઈ રહ્યો હતો. જ્યારે મને દુર્ગમાં મારી અટકાયતમાં કરવામાં આવી અને પછી રાયપુર લઈ જવામાં આવ્યો. ત્યાં પહોંચેલી મુંબઈ પોલીસની ટીમે મને માર માર્યો પણ હતો.'
ઉલ્લેખનીય છે કે, 15મી જાન્યુઆરીની રાત્રે, મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સતગુરુ શરણના 12મા માળે સ્થિત અભિનેતા સૈફ અલી ખાનના નિવાસસ્થાને લૂંટના પ્રયાસ દરમિયાન, એક વ્યક્તિએ તેમના પર છરીથી હુમલો કર્યો હતો.