
ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાને અધવચ્ચે છોડીને ભારત પરત ફરી રહ્યા છે. આ પાછળનું કારણ તેની માતાની બગડતી તબિયત છે. એવા અહેવાલો છે કે તેની માતાને હૃદયરોગનો હુમલો આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૌતમ ગંભીરની માતા હાલમાં ICUમાં છે, જ્યાં ડોક્ટરો તેના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યા છે. ગૌતમ ગંભીર ભારત આવ્યા પછી ક્યારે ઈંગ્લેન્ડ પરત ફરશે તે અંગે હાલમાં કોઈ માહિતી નથી. આ અંગેનો નિર્ણય માતાની તબિયત કેવી છે તેના પર નિર્ભર હોઈ શકે છે.
શું ગંભીર 20 જૂન સુધીમાં ઈંગ્લેન્ડ પરત ફરી શકશે?
ટીમ ઈન્ડિયા 13 જૂનથી 16 જૂન સુધી ઈન્ટ્રા-સ્ક્વોડ મેચ રમવાની હતી, જેમાં મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરે ભારત માટે શ્રેષ્ઠ કોમ્બિનેશન શોધવાનું કામ કરવાનું હતું. પરંતુ હવે તેની ગેરહાજરીમાં આ કામ બાકીના સપોર્ટ સ્ટાફ દ્વારા કરવું પડી શકે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની પહેલી મેચ 20 જૂનથી હેડિંગ્લી ખાતે રમાશે. એવી આશા છે કે ગૌતમ ગંભીરના પરિવાર પર જે સંકટ આવ્યું છે તે ટળી જાય અને તે 20 જૂન પહેલા ટીમ ઈન્ડિયામાં જોડાઇ જાય.
ટીમ ઈન્ડિયા માટે ગંભીરનું વાપસી મહત્વપૂર્ણ
ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગૌતમ ગંભીરની ખૂબ જરૂર છે. કારણ કે આ વખતે એક યુવા ટીમ એક યુવાન કેપ્ટનના નેતૃત્વમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર છે. આવી સ્થિતિમાં ગંભીર જેવા કોચનો ટેકો તેનું મનોબળ ઊંચું રાખી શકે છે. આ દૃષ્ટિકોણથી પણ ગૌતમ ગંભીરનું વાપસી મહત્વપૂર્ણ બની જાય છે.