
- અક્ષાંશ-રેખાંશ ગુજરાત
ગુજરાતમાંથી દલિત, આદિવાસી સંસદસભ્યો ચૂંટાઇને લોકસભામાં પહોંચ્યા છે. એમાંના ખેમચંદભાઈ ચાવડા રાજકારણમાં ત્રણ દાયકા સક્રિય રહ્યા પરંતુ મંત્રી પદ ન પામી શક્યા એ વિગત આ વિષયના પહેલા ભાગમાં આપણે જોઈ. એમની પછીની પેઢીના કેટલાક પ્રતિનિધિઓ કેન્દ્ર સરકારમાં મંત્રી પદ પામ્યા. આવા એકથી વધુ દાખલા વિશે આવો જાણીએ આ બીજા ભાગમાં.
આ તરફ આદિવાસી નેતૃત્વની વાત કરીએ તો છોટાઉદેપુર ST અનામત બેઠક પરથી પાંચ મુદત માટે અલગ અલગ ત્રણ રાજકીય પક્ષોમાંથી ચૂંટાયેલા નારણભાઈ જેમલાભાઈ રાઠવા રાજ્યસભાની છ વર્ષની એક મુદત સાથે બધું મળીને પાંત્રીસ વર્ષ સક્રિય રાજકારણમાં રહ્યા. તેઓ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના પહેલા કાર્યકાળમાં રેલવે રાજ્યમંત્રી રહ્યા. રામસિંહભાઈ પાતળિયાભાઈ રાઠવા કૉંગ્રેસમાંથી રાજ્યસભાની બે મુદત સાથે છોટા ઉદેપુર લોકસભા બેઠકના ભારતીય જનતા પક્ષના ત્રણ મુદત માટે સંસદસભ્ય રહ્યા. આમ તેઓ સત્તાવીસ વર્ષ જેવો લાંબો સમય સંસદના ફ્લોર પર રહ્યા. જો કે આમ છતાં તેઓ કદી કેન્દ્ર સરકારમાં મંત્રી પદ કે કોઈ હોદ્દો ન પામ્યા.
હોદ્દાની જ વાત નીકળી છે તો જાણી લઇએ કે દાહોદ લોકસભા ST અનામત બેઠક પર સતત સાત મુદત, છઠ્ઠીથી બારમી લોકસભા સુધી કૉંગ્રેસ પક્ષમાંથી ચૂંટાતા રહેલા સોમજીભાઈ પુંજાભાઈ ડામોરને એકેય સરકારોએ મંત્રીપદ આપ્યું નહોતું. એમાં ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને પી. વી. નરસિમ્હારાવના વડપણ હેઠળની કૉંગ્રેસ સરકારોનો સમાવેશ થાય છે. એવું જ માંડવી ST અનામત લોકસભા બેઠકથી સતત સાત મુદત માટે કૉંગ્રેસમાંથી જ ચૂંટાતા રહેતા છીતુભાઈ દેવજીભાઈ ગામિતની બાબતમાં બન્યું. તેમનું ભણતર ઓછું હતું એટલે કદી મંત્રી પદ ના પામ્યા એવી શક્યતા ખરી.
લોકસભાના SC કે ST વર્ગના સભ્ય લેખે મંત્રી પદ કે સમકક્ષ કોઈ હોદ્દો, સ્થાન પામ્યાના પાંચ જ દાખલા આ પંચોતેર વર્ષમાં મળે છે. દસમી લોકસભા 1991માં વલસાડ લોકસભા ST અનામત બેઠક પર ત્રીજી મુદત માટે ચૂંટાયેલા કૉંગ્રેસના ઉત્તમભાઈ હરજીભાઈ પટેલ વડાપ્રધાન પી. વી. નરસિમ્હારાવના મંત્રીમંડળમાં ગ્રામિણ વિકાસ રાજ્યમંત્રી હતા. ચૌદમી લોકસભા 2004માં છોટા ઉદેપુર ST અનામત બેઠકના પાંચમી મુદતના કૉંગ્રેસ પક્ષના સંસદસભ્ય નારણભાઈ રાઠવા વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના પહેલા કાર્યકાળમાં રેલવે રાજ્યમંત્રી હતા. એ જ રીતે પંદરમી લોકસભા 2009માં બારડોલી ST અનામત બેઠક પર બીજી મુદત માટે ચૂંટાયેલા કૉંગ્રેસના ડૉ. તુષાર અમરસિંહ ચૌધરી વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના મંત્રીમંડળમાં આદિજાતિ બાબતોના રાજ્યમંત્રી હતા. સોળમી લોકસભા 2014માં દાહોદ ST અનામત બેઠક પર પહેલી વાર ચૂંટાયેલા જસવંતસિંહ ભાભોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળમાં 2016થી 2019 દરમિયાન આદિજાતિ બાબતોના રાજ્યમંત્રી હતા. જેનો કાર્યકાળ હવે સમાપ્ત થવામાં છે તે સત્તરમી લોકસભા 2019-2024ના અમદાવાદ પશ્ચિમ SC અનામત બેઠકના ભારતીય જનતા પક્ષના ત્રીજી મુદતના સંસદસભ્ય ડૉ. કિરીટ પ્રેમજીભાઈ સોલંકી લોકસભા સ્પીકર ઓમ બિરલાની પેનલના સભ્ય રહ્યા. બેશક, આ કોઈ બંધારણીય હોદ્દો નથી પરંતુ પેનલ મેમ્બરને સ્પીકરની ગેરહાજરીમાં લોકસભા સંચાલન કરવાની તક મળે છે એ નોંધવું રહ્યું.
(‘ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ’ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો સાથે. – બિનીત મોદી)