રાજકોટ જેવી કરપીણ ઘટના આપણા ભ્રષ્ટાચાર, ભૂલકણાપણું અને ભવિષ્યને બદલે ભૂતકાળપ્રેમ જેવા આસુરી લક્ષણો બાબતે અનેક વાર મે પોકારી પોકારીને કહ્યું લખ્યું છે, એનો કરુણ રિમાઇન્ડર આપે છે. ટ્રાફિક હોય કે ટેકસ, આપણી બટકણી લાગણી જ્ઞાતિ કે ધર્મ કોમના મુદ્દે જ દુભાશે, જીવલેણ ગણાય એવા રિયલ ઇસ્યુઝ સાઈડ લાઇન થતા રહેશે ને એટલે જ નેતાઓ કે તંત્ર એને મહત્ત્વ જ નહી આપે.
સ્ત્રી પુરુષનો પ્રેમ વલ્ગર લાગશે, પણ રખડતા ઢોરકૂતરા કે રસ્તાના ખાડા જેવી ડઝનબંધ બાબત આપણને અશ્લીલ નહિ લાગે ! આપણા ટોળા રોષમાં માત્ર અહંકાર માટે આંદોલન કરશે, સલામતીના નિયમોના પાલન માટે નહી ! કાલ્પનિક ફિલ્મોમાં કાવતરું જોનાર ગાંડિયાઓને નિર્દોષોના વારંવાર ભોગ લેતા કાળમુખી તંત્રની અવ્યવસ્થા બાબતે કશું ફીલ નહી કરે ! શાસનની શિથિલતા સામે નાગરિક હિતમાં અવાજ ઉઠાવનારને સવાલો કરશે પણ ખરા ગુનેગાર એવા લોકલ લુખ્ખાઓ સામે આંખમાં આંખ નાખી અવાજ ઉઠવવા એકઠા નહી થાય ! કોરોનાની કઠણાઈ પણ બધા તરત વિસારે પાડી ખોવાઈ ગયા મોબાઈલ મનોરંજન પાછળ...
સમાચારોની સનસનાટી બીજે વળી ગઈ ત્યારે. બધે રૂપિયા ઘરભેગા કરીને તકલાદી કામ ઝીંકી દેતા સેટિંગની મિલીભગત ચાલે ત્યાં લાચારી, આંસુ ને હતાશા જ વધશે પ્રજા પાસે. આમાં સાચા ને સંવેદનશીલ હોવું, આધુનિક વૈજ્ઞાનિક રસિક આખાબોલા હોવું તો જાણે અપરાધ છે ! વાંક ફરવા જનાર નાગરિકોનો નીકળશે પણ ગરિયા ફેરવી જનાર દાધારંગા ભારાડીઓ ખુલ્લા ફરી ને વધુ જોખમી દુર્ઘટના સર્જશે !
- જય વસાવડા