
રાજ્યમાં અકસ્માતમાં સતત વધારો થઈ રહ્યો છે જેની સાથે જ અકસ્માતમાં થતા મોતનો પણ આંકડો વધી રહ્યો છે. તેવામાં રાજ્યમાં ત્રણ અલગ અલગ જગ્યાએ થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અંકલેશ્વરમાં અજાણ્યા વાહને મોપેડને મારી ટક્કર
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર બપોરના સમયે બે યુવાનો મોપેડ ઉપર હાઇવે ઉપરથી પસાર થઈ રહયા હતા. તે દરમિયાન આમલાખાડી બ્રિજ ઉપર પૂરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે મોપેડ સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવાનનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ભાવનગરમાં બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત
ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર ભંડારીયાથી તણસા તરફ જવાના રોડ બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પાલિતાણા જઈ રહેલા એક કારને અન્ય કરના ચાલકે ટક્કર મારી ગમખ્વાર અકસ્માત સર્જતાં બે લોકોને ઇજાઓ પહોંચી હતી. જેમને તાત્કાલિક સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવતા ત્યાં ફરજ પરના તબીબોએ તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. જેમાં દિનેશભાઈ ચૌહાણ તેમજ ધરમશીભાઈ પરમારનું ઘટનામાં મોત થયું હતું.
સાબરકાંઠામાં ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતાં કાર હવામાં ફંગોળાયો
સાબરકાંઠામાં નેશનલ હાઇવે 48 પર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં પ્રાંતિજના કતપુર ટોલ નજીક અમદાવાદથી હિંમતનગર તરફ જઈ રહેલી કારનો અકસ્માત થયો હતો. કાર ચાલકે સ્ટિયરિંગ ઉપર કાબૂ ગુમાવતાં કાર હવામાં ફંગોળાઈ હતો. અકસ્માતમાં બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા 108 મારફતે પ્રાંતિજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.