
અમદાવાદમાં કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક પૂર્ણ થઈ છે. આવનાર ચૂંટણી અંગે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, કાર્યક્રરોના દિલમાં શું છે અને આગળ સંગઠનના નવસર્જન માટે વિસ્તૃત ચર્ચા થઈ હતી. ગુજરાતમાં બે પેટા ચૂંટણી આવી રહી છે તે અંગે ચર્ચા થઈ.
રાષ્ટ્રીય સ્તરે અમારું ગઠબંધન છે. ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાએ નિર્ણય થયો ઈન્ડિયા ગઠબંધન કરવાનું છે. ભરૂચ અને ભાવનગર અમે છોડ્યું હતું. ભૂતકાળના ઇતિહાસ પછી સર્વાનુમતે એક નિર્ણય લેવામાં આવ્યો. ગુજરાતની જનતા ત્રીજી પાર્ટીને મત નથી આપતી. ભૂતકાળમાં કોઈ પાર્ટીને વધુ મત મળ્યા નથી. કોંગ્રેસ પાર્ટીને આમ આદમી પાર્ટીએ નુકસાન કર્યું પણ જનતાએ કોંગ્રેસને મત મળ્યા હતા. પેટા ચૂંટણીની બંને બેઠક કોંગ્રેસ એકલા હાથે લડશે. વિસાવદર અને કડીની પેટાચૂંટણામાં કોંગ્રેસ એકલા હાથે લડશે.
પેટા ચૂંટણીને લઈ ‘આપ’ નેતા ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા
ઈસુદાન ગઢવીએ ચૂંટણી અંગે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, વિસાવદરની જનતા ભાજપને હરાવીને આમ આદમી પાર્ટીને જીતાડશે. કોંગ્રેસે જે નિર્ણય લીધો છે, તે તેમનો પોતાનો નિર્ણય છે. પરંતુ વિસાવદરની જનતા અને ખેડૂતો આમ આદમી પાર્ટી સાથે છે. વિસાવદરમાં એક જ મજબૂત ઉમેદવાર છે, તે છે ગોપાલ ઇટાલીયા. વિસાવદરની જનતાને અપીલ કરું છું કે, આ ચૂંટણીમાં તમારો એક પણ મત વેડફતા નહીં. ગુજરાતમાં ભાજપની તાનાશાહી સામે લડી શકે અને ભાજપને હરાવી શકે તેવી તાકાત ફક્ત આમ આદમી પાર્ટીમાં છે. અપમાનનો બદલો લેવા માટે વિસાવદરની જનતા અને વિસાવદરના ખેડૂતો હાલ એક થયા છે. ફક્ત આમ આદમી પાર્ટી જ ભાજપની તાનાશાહીમાંથી ગુજરાતને છોડાવી શકે તેમ છે. ગત ચૂંટણીમાં 'આપ'ને આદિવાસી અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં 25% વોટ મળ્યા હતા, આ સાબિતી છે કે 'આપ' ભાજપને હરાવી શકે છે.