
અમદાવાદમાં કોરોનાના કેસમાં ફરી વધારો થવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના પાંચ નવા કેસ સામે આવ્યા છે. જેમાં 84 વર્ષીય વૃદ્ધ અને 20 વર્ષીય યુવતી હાલ હોસ્પિટલમાં છે, જ્યારે અન્ય દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ સારવારમાં છે.
24 કલાકમાં પાંચ નવા કેસ નોંધાયા
મળતી માહિતી મુજબ, મે મહિનામાં જ અમદાવાદમાં કોરોનાના 38 દર્દી નોંધાયા છે. આ પૈકી હાલમાં 31 દર્દી હજુ સારવાર હેઠળ છે. જેના ઉપરથી જ કોરોનાથી સર્જાઈ રહેલી વિકટ સ્થિતિનો અંદાજ આવી શકે છે. હાલ ગુજરાતમાં કોરોનાના 80 ટકા કેસ માત્ર અમદાવાદથી છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો વધુ પાંચ નવા કેસ નોંધાયા છે. જેમાં 84 વર્ષીય વૃદ્ધ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 20 વર્ષીય યુવતી પણ કોરોના સંક્રમિત છે. શ્વાસની તકલીફ થતાં આ યુવતી હાલમાં સોલા સિવિલ ખાતે ઓક્સિજન હેઠળ છે. સોલા સિવિલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, યુવતીનું સ્વાસ્થ્ય હાલ સ્થિર છે.
સરકારી હોસ્પિટલમાં શરૂ કરાઈ તૈયારીઓ
કોરોનાના કેસમાં વધારો થતાં અમદાવાદની સરકારી હોસ્પિટલોમાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ તેમજ SVP અને શારદાબેન હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદની સિવિલમાં 1200 બેડની હોસ્પિટલ તૈયાર છે. ઓક્સિજનની જરૂર પડે તો 20 હજાર લીટરની બે ઓક્સિજન ટેન્ક પણ તૈયાર રાખવામાં આવ્યા છે. પ્રત્યેક સંક્રમિતના ટેસ્ટ જીબીઆરસી-ગાંધીનગર ખાતે મોકલવામાં આવે છે. જ્યાં તેમનામાં કયા વેરિએન્ટ છે, તેની ચકાસણી કરવામાં આવી રહી છે.
રાજકોટ, મહેસાણામાં કોવિડના કેસ
ગુરૂવારે (22 મે) રાજકોટમાં 43 વર્ષીય પુરૂષ કોવિડ પોઝિટિવ આવતા તે હાલ હોમ આઇસોલેશનમાં છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં કોરોનાનો બીજો કેસ નોંધાયો છે. પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા યુવકનું સ્વાસ્થ્ય કથળતા તેને દાખલ કરાયો હતો. જ્યાં ટેસ્ટ કરતાં તે કોવિડ પોઝિટિવ હોવાનું સામે આવ્ચું હતું.
ગુજરાતમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ, ડરવાની જરૂર નથી
કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગે લોકોને સાવધાન રહેવા અપીલ કરી છે. જરૂર ન હોય તો ભીડભાડવાળા વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. શરદી, ખાંસી અથવા શ્વાસ ચડે તો તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો. તબીબોના મતે, હાલ ગુજરાતમાં કોરોનાના કેસો વધુ નથી અને સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. તેથી લોકોએ ડરવાની જરૂર નથી.
શરદી-ખાંસી-શ્વાસના દર્દીઓ પર આરોગ્ય વિભાગની નજર
ગુજરાતમાં કોરોનાની રિ-એન્ટ્રી થઈ છે પરિણામે રાજ્ય આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. ખાસ કરીને શરદી, ખાંસી અને શ્વાસના દર્દીઓ પર નજર રાખવા તબીબોને સૂચના અપાઈ છે. એટલું જ નહીં, જરૂર જણાય તો, શંકાસ્પદ દર્દીનો કોરોના ટેસ્ટ સહિત સારવાર કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.