
ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે મોડી રાત્રે અમદાવાદના રાણીપ વિસ્તારમાં બકરા મંડી નજીક એક ગંભીર અકસ્માતની દુર્ઘટના સામે આવી છે.
પોલીસકર્મીએ અન્ય વાહનોને પણ લીધા અડફેટે
અમદાવાદ શહેરના માધવપુરા પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મી દ્વારા ચલાવવામાં આવેલી ગાડીની ટક્કરને કારણે 4 લોકોને ઇજાઓ પહોંચી છે. પ્રાથમિક માહિતી અનુસાર કાર ચાલકે અન્ય વાહનોને પણ અડફેટે લીધા હતા. તો બીજી તરફ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે કાર ચાલક પોલીસકર્મી નશામાં ધૂત હતો.
આ ઘટનામાં ચારેય વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ થઈ
આ ઘટનામાં ચારેય વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે, અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.પોલીસકર્મીની ઓળખ યુવરાજસિંહ તરીકે થઈ છે.
ઘટના વિશે જાણકારી આપતા સ્થાનિકોએ કહ્યું કે પોલીસ કર્મચારી યુવરાજસિંહની કારે પુરઝડપે મોપેડને ટક્કર મારી હતી. જેમાં મોપેડ ચાલક સંજયને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઉપરાંત રોડની સાઇડમાં ઉભેલી મુમતાઝ શેખને ઈજાઓ થઈ હતી. આ અકસ્માત સર્જીને પોલીસ કર્મચારી યુવરાજસિંહ કાર ઘટનાસ્થળે જ મૂકી ફરાર થઈ ગયો હતો.