
અમદાવાદમાં 12 જૂનના રોજ બનેલી ભયાવહ પ્લેન ક્રેશની દુર્ઘટનાનું કારણ જાણવા માટે અત્યંત ઉપયોગી બ્લેક બૉક્સને અમેરિકા મોકલવાની તૈયારી થઈ રહી છે. જેથી દુર્ઘટના પાછળના સચોટ કારણો જાણી શકાય. આ દુર્ઘટનામાં વિમાનના બ્લેક બૉક્સને પણ નુકસાન થયુ છે. જેથી તેમાંથી ડેટા મેળવવો મુશ્કેલ બન્યો છે. આ કારણોસર તેને અમેરિકા મોકલવાની તૈયારી થઈ રહી છે.
ભારતીય ટીમ પણ અમેરિકા જશે
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મળી આવેલા બ્લેક બૉક્સમાંથી ડેટા રિકવર કરવા માટે અમેરિકા મોકલવામાં આવશે. આ મામલે ભારત સરકાર તરફથી ઝડપથી નિર્ણય લેવામાં આવશે. ક્રેશ થયેલું એર ઈન્ડિયાના વિમાનનું બ્લેક બૉક્સ વોશિંગ્ટન ડીસી મોકલવામાં આવશે. જ્યાં નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડમાં તેની તપાસ થશે. આ બ્લેક બૉક્સની સાથે એક ભારતીય ટીમ પણ મોકલવામાં આવશે. જે તપાસ દરમિયાન તમામ પ્રોટોકોલ પર નજર રાખશે.
શું છે બ્લેક બૉક્સ
બ્લેક બૉક્સ સામાન્ય રીતે નારંગી રંગ(Orange Color)નું હોય છે. તે નારંગી રંગનું હોવાથી દુર્ઘટના જેવી પરિસ્થિતિમાં તેને શોધવું સરળ બને છે. બ્લેક બોક્સ સ્ટીલ અને ટાઇટેનિયમથી બનેલું હોય છે. તે વિવિધ પ્રકારના સિગ્નલો, વાતચીત અને ટેકનિકલ ડેટા રૅકોર્ડ કરે છે. તેમાં બે પ્રકારના રૅકોર્ડર છે. ડિજિટલ ફ્લાઇટ ડેટા રૅકોર્ડર (DFDR) અને કોકપિટ વોઇસ રૅકોર્ડર (CVR). જે વિમાન અને હેલિકોપ્ટર વગેરેની ઉડાન સમયની મહત્ત્વની માહિતી એકત્રિત કરે છે. આ અત્યંત મજબૂત અને આગ અવરોધક હોય છે. તેમ છતાં અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટના એટલી ભયાનક હતી કે, 1000 ડિગ્રી તાપમાનમાં આગ અવરોધક બ્લેક બૉક્સને પણ નુકસાન થયું છે.
અમદાવાદ એરપોર્ટથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાનું પ્લેન 12 જૂને ગુરૂવારના રોજ બપોરે 1.40 વાગ્યે બિલ્ડિંગ સાથે ધડાકાભેર અથડાયુ હતું. જેમાં સવાર 242માંથી 241 મુસાફરો સહિત કુલ 279 લોકોના મોત થયા હતાં. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા.