
Ahmedabad News : અમદાવાદમાં હાથીજણ વિસ્તારમાં રોટવીલર શ્વાન દ્વારા બાળકી પર હુમલો કરી મોત નિપજાવવાની ઘટના બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ડોગ ઓનર્સ માટે વેબિનારનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તમામ ડોગ ઓનરને વિનામૂલ્યે ડોગ બિહેવિયર અંગે માહિતી આપવામાં આવશે.
હાથીજણ વિસ્તારની ઘટનામાં પકડાયેલા શ્વાનનું કોર્પોરેશન દ્વારા મેડિકલ પરીક્ષણ અને બિહેવિયર અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં એક બાબત સામે આવી છે કે ડોગ ઓનર પાસે જરૂરી ડોગ બીહેવીયર નું જ્ઞાન ન હતું. શ્વાનને જરૂરી મેડિકલ ટ્રીટમેન્ટ પણ આપવામાં આવતી નહોતી. આ બાબતને જોતા દરેક ડોગ ઓનરને આ પ્રકારની તાલીમ આપવામાં આવશે. તો આ સાથે મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં નવી પોલીસી પણ તૈયાર કરવામાં આવશે. પોલીસીમાં કેટલીક બાબતોનો સમાવેશ કરવામાં આવશે, જેમાં ડોગ ઓનરને ડોગ બિહેવિયર અંગે જરૂરી જ્ઞાન હોવું જરૂરી, સમયાંતરે મેડિકલ ચેકઅપ કરાવવું પડશે, શ્વાન રાખવા માટે જરૂરી જગ્યા હોવી જોઈએ, શ્વાનને કોઈ વ્યક્તિને ઈજા ન પહોંચાડે તેની તકેદારી રાખવી પડશે. આ મુદ્દાઓ ઉપરાંત વિવિધ મુદ્દાઓને સમાવેશ કરીને આગામી દિવસોમાં ડોગ ઓનર્સ માટે કોર્પોરેશન દ્વારા ગાઈડ લાઈન બહાર પાડવામાં આવશે.
પેટ ડોગ રજીસ્ટ્રેશન નહીં કરાવનાર માલિકને આપવામાં આવશે નોટિસ
પેટ ડોગ રજીસ્ટ્રેશન નહીં કરાવનાર માલિકને આપવામાં નોટિસ આવશે. નોટિસ આપ્યા બાદ પણ રજીસ્ટ્રેશન નહીં થાય તો કાયદાકીય પગલા ભરવામાં આવશે. ડોગ રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 31 મે છે. 31 તારીખ બાદ રજીસ્ટ્રેશનના ચાર્જીસમાં વધારો કરવામાં આવશે.