
અમદાવાદના ચકચારી કેસ વર્ષ 2002 સાબરમતી એક્સપ્રેસ સળગાવવાને મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ગોધરા કાંડ ઘટનાના દિવસે ફરજ મુકી ટ્રેન છોડનારા 9 પોલીસકર્મીઓની છટણીને હાઈકોર્ટે બહાલી આપી છે. સાબરમતી એક્સપ્રેસ ઘટના વખતે પોલીસ કર્મીઓ ફરજમાંથી વિમુખ રહ્યા છે. કોર્ટે કહ્યું, આવા રેલવે પોલીસકર્મીઓની છટણી યોગ્ય છે.
આ સમગ્ર મામલે હાઈકોર્ટના અવલોકનો સામે આવ્યા છે. કોર્ટે જણાવ્યું હતું કે, પોલીસકર્મીઓએ ફરજ મુજબ સાબરમતી એક્સપ્રેસમાં પેટ્રોલિંગ ના કરી અને બદલે શાંતિ એક્સપ્રેસ પકડી હતી. દાહોદ સ્ટેશન પર ખોટી નોંધ કરી હતી કે તેઓ સાબરમતી એક્સપ્રેસમાં હતા. તંત્રએ તેમને ફરજ વિમુખ, બેફામ અને ઘોર બેદરકારી દાખવતા છટણીનો આદેશ આપ્યો હતો.
હાઈકોર્ટએ માન્યું કે, આ પ્રકારના પગલાં યોગ્ય હતા, જે શિસ્ત માટે જરૂરી છે. પોલીસફોર્સ જેવી શિસ્તબદ્ધ સેવાઓમાં ફરજથી વિમુખતા સહન કરી શકાય નહીં. ટ્રેન જેવી સંવેદનશીલ જગ્યાએ ફરજદાર લોકો છૂટથી ચાલશે તો ભવિષ્યમાં આવી ઘટના નિવારવી મુશ્કેલ બનશે.