
Ahmedabad News: અમદાવાદ શહેરમાં રિડેવલપમેન્ટ મામલે ભાજપના કોર્પોરેટર સામે સ્થાનિકોનો વિરોધ સામે આવ્યો છે. ફ્લેટમાં ગેરકાયદે દુકાનો બનાવી હોવાનો કોર્પોરેટર સામે આરોપ લગાવવામાં આવ્યો છે. સરખેજના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર સામે સ્થાનિકોએ બળવો પોકાર્યો છે. વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પાસે આવેલ નિરાલી ફ્લેટના રીડેવલપમેન્ટનો મામલો પોલીસ સ્ટેશનથી કોર્ટ સુધી પહોંચ્યો છે.
કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર બિલ્ડર પાસે ગેરકાયદે દુકાનના બદલે દુકાન માગતા રિડેવલપેન્ટ અટકતા સ્થાનિકોનો વિરોધ સામે આવ્યું છે. સ્થાનિકે જણાવ્યું હતું કે, તમામને યોગ્ય વળતર મળવું જોઈએ. રિડેવલપમેન્ટની પ્રક્રિયાથી આખી સોસાયટી સહમત નથી. જો બિલ્ડર લોકોને યોગ્ય વળતર આપશે તો બધા લોકો જોડાવવા માટે તૈયાર છે.
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં વસ્ત્રાપુર ફાટક પાસે આવેલા નિરાલી ફ્લેટમાં રિડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. ફ્લેટની નીચે સરખેજ વોર્ડના ભાજપના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરના ભાઈ પ્રદીપ ખાચરની ત્રણ દુકાનો આવેલી છે. જે દુકાનો ગેરકાયદેસર હોવા છતાં પણ રીડેવલપમેન્ટમાં દુકાનોના પૈસા માંગવામાં આવી રહ્યા હોવાનો સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
તેઓએ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર દુકાનો ઊભી કરી દેવામાં આવી છે અને તેના કારણે રિડેવલોપમેન્ટ અટકી ગયું છે. સરખેજ વોર્ડના ભાજપના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરે બિલ્ડર પાસે પ્રતિ સ્ક્વેર મીટર એક લાખ રૂપિયા માંગ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. સ્થાનિક રહીશોએ વેજલપુરના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરને ફોન કરીને ખખડાવ્યા હતા. તેમજ કહ્યું હતું કે અને ભાજપના કોર્પોરેટરની દાદાગીરી નહીં ચલાવી લઈએ. અમારા સમજીને તમને મત આપ્યા હતા. જો નિરાકરણ નહીં આવે તો અમે મત નહીં આપીએ અને આજુબાજુની 10 સોસાયટીઓ વાળાને પણ કહીશું. કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર સામે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ધાક ધમકી અને ગાળ આપવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે.