
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી.
પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. અમદાવાદ એરપોર્ટ નજીક થયેલા વિમાન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મુસાફરી કરી રહ્યા હતા. મુસાફરોની યાદીમાં તેઓનું 12મા ક્રમે નામ હતું. તેમના સિવાય એર ઇન્ડિયાના બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનમાં 242 મુસાફરો હતા. વિમાન લંડન જઈ રહ્યું હતું, ત્યારે ટેકઓફ દરમિયાન એરપોર્ટ નજીક પાસે વિસ્ફોટ થયો. પ્લેનમાં આગ લાગ્યા બાદ સિવિલ હોસ્પિટલની મેસ સાથે અથડાતાં વિદ્યાર્થી ડોક્ટરોના પણ મોત થયાની વિગતો સામે આવી રહી છે.
ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
વિજય રૂપાણી ગુજરાતના 16મા મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે 2016થી 2021 દરમિયાન ગુજરાતનું સુકાન સંભાળી ગુજરાતને નવી ઉંચાઈએ લઈ ગયા. ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાતના રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ ઉપરાંત તેઓ ભાજપના રાજ્યસભા સાંસદ પણ રહી ચૂક્યા છે.
મ્યાનમારમાં જન્મેલા, રાજકોટમાં સ્થાયી થયા
વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956 ના રોજ મ્યાનમારના યાંગોનમાં થયો હતો. તેમની માતાનું નામ માયાબેન અને પિતાનું નામ રમણીકલાલ રૂપાણી છે. તેઓ 7 ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા. મ્યાનમારમાં થયેલી રાજકીય ઉથલપાથલ દરમિયાન તેમનો પરિવાર 1960માં રાજકોટ આવીને સ્થાયી થયો હતો. વિજય રૂપાણીએ ગુજરાતની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બીએ અને એલએલબીનો અભ્યાસ કર્યો હતો.
તેમણે ભાજપની મહિલા પાંખની સભ્ય અંજલી સાથે લગ્ન કર્યા. તેમને એક પુત્ર એન્જિનિયર છે અને એક પુત્રી પરિણીત છે. તેમના બીજા પુત્રનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
કટોકટી દરમિયાન ૧૧ મહિના જેલમાં રહ્યા
અભ્યાસ દરમિયાન એબીવીપીમાં જોડાયા.
૧૯૭૧માં આરએસએસ- જનસંઘમાં જોડાયા.
ભાજપની સ્થાપના સમયથી પાર્ટી સાથે રહ્યા
૧૯૭૬ની કટોકટી સમયે ૧૧ મહિના જેલમાં રહ્યા
૧૯૯૬ થી ૧૯૯૭ દરમિયાન રાજકોટના મેયરપદે રહ્યા
૧૯૯૮માં ભાજપના ગુજરાત એકમના સચિવ બનાવ્યા
૨૦૦૬માં ગુજરાત પ્રવાસનના ચેરમેન બન્યા
૨૦૦૬થી ૨૦૧૨ દરમિયાન રાજ્યસભાના સભ્ય બન્યા
૨૦૧૩માં નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન તેઓ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ હતા.
૨૦૧૪માં રાજકોટ પશ્ચિમથી ધારાસભ્યની ચૂંટણી જીતી.
૨૦૧૪માં આનંદીબેન પટેલ સરકારમાં ટ્રાન્સપોર્ટ મંત્રી બન્યા
૨૦૧૬માં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા
૭ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.
૨૦૧૭માં ભાજપે ગુજરાતમાં ચૂંટણી જીતી અને રૂપાણીને ફરીથી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.
છેલ્લે ભાજપાએ પંજાબના પ્રભારી પણ બનાવ્યા હતા.