
અમરેલીનાં રાજસ્થળી ગામે હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે, જેમાં સવા વર્ષના પૌત્રને બચકાં ભરીને નિર્દયી દાદી દ્વારા ક્રૂર હત્યા કરી હતી. રાત્રે માસૂમ સતત રડતું હોવાથી ઉંઘમાં ખલેલ પડી હતી. માસૂમને શાંત કરવા માટે નિષ્ઠુર દાદીએ નિર્દયતાથી પહેલા લાફા-ધબ્બા માર્યા પછી બચકાં ભરીને મોતને ઘાટ ઉતારી દીધું હતું.
દાદીએ માર માર્યો પછી બચકાં ભરી ભરીને કરી નાખી હત્યા
અમરેલી તાલુકાના રાજસ્થાળી ગામે હુસેનભાઈ સૈયદ તેમના પત્ની ફુલસનબેન પુત્ર રફિકભાઈ ઉપરાંત પુત્રવધુ, પૌત્ર પૌત્રી સહિતનો પરિવારા સાથે રહે છે. ગત રાત્રે પુત્ર-પુત્રવધુ એક રૂમમાં સાથે સુતા હતા. તો બીજી તરફ બન્ને સંતાનો દાદી ફુલસનબેન સાથે બીજા રૂમમાં સુતા હતા.
એક વર્ષનો પૌત્ર ઘોડિયાની નીચે પડ્યો
જ્યારે ઘરના મોભી કપાસની ખરીદી કરવા બહારગામ ગયા હતા. વહેલી સવારે તેઓ ઘરે આવ્યા ત્યારે દાદી ફુસલનબેન સાથે રૂમમાં સુતેલો એક વર્ષનો પૌત્ર ઘોડિયાની નીચે પડ્યો હતો, અને આખઆ શરીરે ઈજાના નિશાન હતા. આ દ્રશ્ય જોઈને પરિવારના મોભીના હોશ ઉડી ગયા અને બધાને જગાડ્યા હતા.
માસુમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં ફરજ પર હાજર તેમણે મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે માસૂમનો મૃતદેહ પોસ્ટમોર્ટ અર્થે મોકલ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકને નિર્દયતાથી માર અને બચકાં ભરવામાં આવ્યો હોવાનો ખુલાસો થતાં પોલીસ પણ હચમચી ગઈ હતી. પરિવારના તમામ સભ્યોની સખ્તાઈથી પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે પૌત્રની દાદી ભાંગી પડી અને કીધું કે પૌત્ર વારંવાર રડતો હતો તેને શાંત કરવા માટે આવું કૃત્ય કર્યું હતું.