
અમરેલીમાંથી ટુંક જ સમયમાં ફરી એક વખત જંગલી જાનવર દ્વારા માનવભક્ષી હુમલાની ઘટના સામે આવી છે. હજુ ગઈકાલે જ એક માનવભક્ષી દીપડાએ 8 વર્ષના બાળકનો પોતાના શિકારનું નિશાન બનાવ્યું હતું, જ્યારે આજે ફરી વખત 7 વર્ષનું નાનું બાળક સિંહના ભયાનક હુમલાનો ભોગ બન્યું હતું. માત્ર 24 કલાકના ગાળામાં જિલ્લામાંથી નાના માસુમ બાળકો જંગલી જાનવરના શિકારનો ભોગ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
અમરેલી જિલ્લામાં બગસરાના પાણીયા ગામે સિંહના હુમલામાં બાળકનું મોત નિપજ્યું છે. બગસરા તાલુકાના પાણીયા ગામે નદીમાં પાણી ભરવા જતા સમયે 7 વર્ષના નાના બાળકને સિંહ ઉઠાવીને બાવળની ઝાડીમાં લઇ ગયો હતો. રાહુલભાઈ નારુભાઈ બારૈયા નામક 7 વર્ષીય બાળકને સિંહે બાળકને ફાડી ખાધો હતો. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયેલો છે. બાળકના મૃતદેહ ને PM માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. વન વિભાગની ટીમ દ્વારા બેથી ત્રણ કલાકની શોધખોળ કર્યા બાદ આખરે બાળકના અવશેષો મળી આવ્યા હતા.