
અરવલ્લીમાં પડતર માંગને લઈ હડતાળમાં જોડાયેલા આરોગ્ય કર્મચારીઓ વિરુદ્ધ સરકારે આકરી કાર્યવાહી કરી છે. જિલ્લાના 307 કર્મચારીઓ વિરુદ્ધ ફરજ મુક્તની કાર્યવાહી કરવામાં આવી. આરોગ્ય વિભાગ દ્વારા આ કર્મચારીઓને ફરજ પર હાજર થવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી, જોકે તેઓ નિર્ધારિત સમયમાં ફરજ પર હાજર ન થતાં આ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. 23 કર્મચારીઓને ચાર્જશીટ આપી કાર્યવાહી હાથ ધરવામાં આવી.
આંદોલનકારી કર્મચારીઓને આખરી અલ્ટીમેટમ આપ્યું
આરોગ્ય કર્મીઓની મુખ્ય માંગણીઓમાં ટેક્નિકલ કૌશલ્ય આધારિત પગારધોરણ લાગુ કરો, ખાતાકીય પરીક્ષા રદ કરો, ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળનો આઠમો દિવસ હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ હકારાત્મક જવાબ આપવામાં આવ્યો નથી. આરોગ્ય કર્મચારીઓએ ગ્રેડ પેમાં સુધારો કરવા, ટેકનિકલ ગ્રેડ પેનો સમાવેશ કરવો, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી અને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવા માંગ સાથે અચોક્કસ મુદતની હડતાળ પાડી છે. હડતાળને એક સપ્તાહ થવા આવ્યું છે ત્યારે આરોગ્ય વિભાગે આંદોલનકારી કર્મચારીઓને આખરી અલ્ટીમેટમ આપ્યું છે.
આરોગ્યમંત્રીએ ઉચ્ચારી હતી ચીમકી
આરોગ્ય કર્મીઓની હડતાળને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આંદોલન કરનારાને હડતાળ સમેટી લેવા ચીમકી આપી છે. આ ચીમકીમાં તેમણે ઘણી બધી સૂફિયાણી વાતો કરી, પરંતુ બે વાત ઘણી મહત્ત્વની છે. આરોગ્ય કર્મીઓની વિવિધ માગ મુદ્દે ઋષિકેશ પટેલનું કહેવું છે કે, ‘આરોગ્ય કર્મીઓની બધી માગ વહીવટનો વિચાર કર્યા વગર સ્વીકારી ના લેવાય, ટેક્સનો પૈસો રાજ્યની તિજોરીમાં આવતો હોય ત્યારે લોકોની સુખાકારીમાં અને લોકોની સગવડો માટે એ પૈસો વપરાવવો જોઈએ.' તેમનો બીજો મુદ્દો એ છે કે, 'આરોગ્યકર્મીઓની હડતાળથી નાગરિકો મુશ્કેલીમાં મૂકાય છે'.