
Chaitra Navratri 2024 : હિન્દુ શાસ્ત્રો પ્રમાણે વર્ષમાં ચાર નવરાત્રી ઉજવવામાં આવે છે. આમાં આસો મહિનાની શારદીય અને ચૈત્ર મહિનાની વાસંતીય નવરાત્રીનું વિશેષ મહત્વ છે. હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. ગુજરાતમાં આવેલા શક્તિપીઠ અંબાજીમાં ચૈત્રી નવરાત્રીના 10 દિવસ માંના દરબારમાં અખંડ ધૂન થાય છે, ખાસ વાત એ છે કે આ પરંપરા વર્ષો જૂની છે.
શક્તિપીઠ અંબાજી મંદિરના પરિસરમાં ચૈત્ર નવરાત્રીની એકમથી દસમ સુધી 10 દિવસ સતત 24 કલાક માં અંબેની અખંડ ધૂન કરવામાં આવે છે. મૂળ મહેસાણા જિલ્લાના ખડૂત પરિવારો દ્વારા આ અખંડ ધૂનની ભારત દેશની આઝાદી પૂર્વે 1941માં શરૂ કરવામાં આવી હતી. પ્રજા ઉપર આવી પડેલી આપત્તિને દૂર કરવા શરુ કરવામાં આવેલી અખંડ ધૂનની આ પરંપરાને મહેસાણા જિલ્લાના 150થી શ્રદ્ધાળુઓએ સતત 83 વર્ષથી જાળવી રાખી છે.
પુરુષોની 6 ટુકડીઓ દ્વારા સતત 24 કલાક અખંડ ધૂન
આ અખંડ ધૂન મૂળ પરંપરાના નિયમો અનુસાર કરવામાં આવે છે. અખંડ ધૂનમાં પુરુષોની 6 ટુકડીઓ 24 કલાકમાં અંબાના ભજન-ગરબા-આરતી-ધૂન ગાય છે અને માંની આરાધના કરે છે. દર બે કલાકના અંતરે આ ટુકડીઓ બદલાય છે અને અખંડધૂન અવિરતપણે ચાલુ જ રહે છે. દરેક ટુકડીઓનો દિવસે બે કલાક અને રાત્રે બે કલાક ધૂન ગાવાનો વારો આવે છે.
ટુકડીઓ બદલાય ત્યારે પણ ધૂન તૂટતી નથી. જે ટુકડીનો વારો આવે એ ટુકડી ધર્મશાળામાંથી નીકળે ત્યારથી જ હાથમાં મંજીરા અને ઢોલ વગાડતા તેમજ માંના ભજન ગાતા મંદિર પરિસરમાં પ્રવેશે અને ત્યારબાદ ત્યાં બેસેલી ટુકડી એવી જ રીતે ધર્મશાળામાં પરત ફરે છે.
પુરુષોની 6 ટુકડીઓની અખંડધૂન ઉપરાંત મહિલાઓ પણ અખંડધૂનમાં જોડાય છે. મહિલાઓ પુરુષ મંડળીથી દૂર બહારની બાજું બેસે છે.
ચૈત્રી એકમથી દસમ સુધી દિવસ આ ધૂન મંડળના સંચાલકો તેમજ મંડળમાં આવતા લોકો તેલથી બનાવેલું ભોજન જમતા નથી, માત્ર ઘીના ઉપયોગથી બનાવેલી રસોઈ જ બનાવીને જમે છે. અમદાવાદ, પલીયડ, ઝુલાસણ અને સઈજના ભકતો અખંડ ધૂન કરી રહ્યા છે.