ગુજરાતમાં સાતમાં દિવસે પણ માવઠાનું સંકટ યથાવત્ રહ્યું છે. શનિવારે (10મી મે) 35 તાલુકામાં માવઠું પડયું હતું. જેમાં પોરબંદરના કુતિયાણામાં બે કલાકમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ
બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો.જેને કારણે જનજીવન અને વાહનવ્યવહાર ખોરવાયુ હતું...ખાસ કરીને, પાલનપુરના માધવપુરાથી વડગામ જતા માર્ગ સહિત જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર ઠપ થયો હતો. આના કારણે વાહનચાલકો અટવાઈ ગયા હતા અને ઘણાં વાહનો બંધ પડ્યાં હતાં. ચાલકોને પાણીમાં અટવાયેલા વાહનોને ધક્કા મારીને બહાર કાઢવાની ફરજ પડી હતી, જેનાથી તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
જામકંડોરણા, ધોરાજી અને ઉપલેટામાં 1.5 ઈંચથી વધુ વરસાદ
મળતી માહિતી અનુસાર, કુતિયાણામાં શનિવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજકોટના જામકંડોરણામાં 3 ઈંચ, ધોરાજીમાં 2.50 ઈંચ, જેતપુરમાં 2.05 ઈંચ, ઉપલેટમાં 1.50 ઈંચ, જૂનાગઢના માણવદરમાં 1.50 ઈંચ, સાબરકાંઠાના ઈડરમાં 1.40 ઈંચ, અમરેલીના સાવરકુંડલામાં 1.25 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ
જૂનાગઢ જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ પડયો હતો.જૂનાગઢના માંગરોળ અને માળીયાહાટીના પંથકમાં વરસાદ વરસ્યો...ગત રોજ પણ માળીયાહાટીના તાલુકાના વાદરવડ ગામમાં વરસાદના કારણે પૂર જેવી સ્થિતીનું નિર્માણ થયુ હતું,જ્યારે આજેપણ માંગરોળ પંથકમાં ગામડાઓમાં ધોધમાર ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા હતા.
આજે 14 વધુ જિલ્લામાં વરસાદની આગાહી
આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવનો સમાવેશ થાય છે. આ સિવાય સોમવાર-મંગળવારના પણ અનેક જિલ્લામાં હળવા વરસાદની સંભાવનાને પગલે યલો એલર્ટ છે.