
Bharuch: ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ તાલુકામાં તાલુકા ભાજપના હોદ્દેદારોની જે વરણી કરી છે એમાં મોટાભાગનાં સ્થાનિક ધારાસભ્યશ્રીઓ તથા સાંસદસભ્ય તરીકે મને વિશ્વાસમાં લીધો નથી. જિલ્લા પ્રમુખ સાથે વારંવાર અમારી મીટિંગ થઈ છતાં પણ ધારાસભ્યોના અને અમારા સૂચનોની એમને અવગણના કરી છે. જિલ્લા પ્રમુખે એમની આસપાસની ટોળકીનાં દબાણથી તાલુકાઓમાં હોદ્દેદારોની નિમણૂક કરી છે જે આવનારાં દિવસોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ભારે નુકસાન પહોંચાડશે.
ભરૂચએ આદિવાસી પ્રભુત્વ ધરાવતો જિલ્લો છે છતાં પણ તાલુકાઓમાં આદિવાસીઓને ખૂબ જ ઓછું સ્થાન મળ્યું છે. વાલિયા તાલુકામાં તાલુકા પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજમાંથી નિમણૂક કરી છે જેની સામે અમને કોઈ વાંધો નથી પરંતુ એમની સાથે બંને મહામંત્રી તરીકે આદિવાસીની નિમણૂક કરવાની હતી તેના બદલે મહામંત્રી પણ ક્ષત્રિય નિમ્યા છે. એ જ રીતે ઝઘડિયામાં આદિવાસી સમાજ અને પટેલ સમાજની અવગણના કરી છે. ઝઘડિયામાં પ્રમુખ સામાન્ય છે તો ત્યાં મહામંત્રી તરીકે આદિવાસીને પ્રાધાન્ય મળવું જોઈએ, પટેલ સમાજ પણ ઝઘડિયામાં પ્રભુત્વ ધરાવે છે તો તેમની અવગણના કરવામાં આવી છે.
જિલ્લા પ્રમુખ જીલ્લા ભાજપનાં આગેવાનોને વિશ્વાસમાં લેતા નથી અને બીટીપી તથા આમ આદમી પાર્ટી માંથી આવેલાં લોકો પર ભરોસો મૂકે છે. જે લોકો લોકસભામાં ભાજપને બેફામ ગાળો દેતાં હતાં, મોદી સાહેબની સતત ટિકા ટિપ્પણી કરતાં હતાં તેમને જીલ્લા ભાજપના નેતાઓને વિશ્વાસમાં લીધા વિના ભાજપમાં પ્રવેશ આપી દેવામાં આવે છે જેનાથી સંઘર્ષ કરનાર ભાજપના કાર્યકર્તાઓ સખ્ત નારાજ છે. ભૂતકાળમાં ક્યારે પણ આવી પરિસ્થિતિનું નિર્માણ નથી થયું જે વર્તમાનમાં થઈ રહ્યું છે. આદિવાસીઓના ઘણાં બધા પ્રશ્નોને ધ્યાનમાં લેવાની બદલે તેમની સતત અવગણના કરવામાં આવે છે જેનાથી આદિવાસી સમાજ ઘણો નારાજ છે. અમે તો વર્ષોથી ભાજપના શિસ્તબદ્ધ કાર્યકર્તા છે. આવી નિમણૂકો થી કોઈ ફરક પડવાનો નથી. અમે સતત ભારતીય જનતા પાર્ટી મજબૂત બને તેવા પ્રયત્નો કરીશું, પરંતુ જે જૂના કાર્યકર્તાઓ છે જેમની અવગણના થાય છે તેઓનું શું.? આજે જીલ્લાનાં બધાજ ધારાસભ્યશ્રીઓ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી થી નારાજ છે જેને લઈ તેઓને આત્મમંથન કરવાની જરૂર છે તેમ તેઓ એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જણાવ્યું હતું.