ભાવનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. પાલિતાણા પંથકમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક ગામો પ્રભાવિત થયા છે. પાલીતાણા અને સિહોરને જોડતા 12 ગામોનો સંપર્ક તૂટ્યો છે. પાલીતાણાના રંડોળાથી સિહોરને જોડતા મુખ્ય માર્ગ પરના પુલ તૂટી જતા પંથકના 12 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે.
ભાવનગર જિલ્લાના પાલિતાણા ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે. રંડોળાથી સિહોરના 12 ગામો બુઢણા, લવરડા, ઢુંઢસર સરકડીયા, ગુંદળાં ટાણા સહિતના ગામોનો સંપર્ક તૂટ્યો છે. પાલીતાણા તાલકાના અનેક ચેક ડેમો નદી નાળાઓ છલકાયા છે.
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના નશીતપુર ગામે કેરી નદી ગાંડીતુર બની છે. નદીમાં ધસમસતા પાણીના પ્રવાહને પગલે નશીતપુર ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામમાં પણ નદીના પાણી ઘૂસી ગયા છે.
ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની ત્રણ દિવસ આગાહી છે. છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે ભાવનગરમાં નદી નાળા છલોછલ થયા છે. વલભીપુર ભાવનગર હાઇવેને જોડતો ચમારડી પાસે આવેલ ચોગઠના ઢાળ પાસેનો પુલ ઉપર પાણી ફરી વળતાં રસ્તો બંધ કરવામાં આવ્યો છે. કાળુભાર નદીમાં ઘોડાપુર આવતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
ભાવનગર શહેરમાં પણ પાટીદાર રેસીડેન્સી સોસાયટીમાં 17 વર્ષ બાદ પાણી ભરાયાની ઘટના સામે આવી છે. ભાવનગર રોડ પર આવેલ પાટીદાર રેસીડેન્સી સોસાયટીમાં પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયા છે. નદી નાળાઓમાં દબાણને પગલે પાણીનો યોગ્ય નિકાલ ન થવાથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે.