જગતના તાતની સ્થિતિ દિવસે દિવસે કથળી રહી છે. કપાસના ભાવ દર વર્ષે ઓછા થતા ખેડૂતો અવનવી ખેતી જેવી કે ગલગોટાના ફૂલ, તરબૂચની ખેતી સકરટેટીની ખેતી તરફ વળ્યા હતા. નસવાડી તાલુકામાં અલગ અલગ ગામડાઓમાં તરબૂચની ખેતી કરી હતી. જેમાં લાખો રૂપિયા ખર્ચ ખેડૂતોએ કરીને બિયારણ ખાતર અને નિંદામણ પાછળ ખર્ચ કર્યો હતો. જ્યારે તરબૂચની ખેતી તૈયાર થવાનો સમય આવી ગયો હતો. ખેતરમાં તરબૂચ લાગી હતા. ત્યારે કમોસમી વરસાદ પડતા તરબૂચના ભાવ અઢી રૂપિયા કિલોએ થઈ જતા હાલ તો ખેડૂતો ખેતરમાંથી જ તરબૂચ તોડવાના બંધ કરી દીધા છે. ખેતરમાં મોટા મોટા તરબૂચ લાગીને પડ્યા છે. પરંતુ કોઈ વેપારી લેવા માટે તૈયાર નથી આવી પરિસ્થિતમાં વ્યાજે ઉછીના લાવીને ખેતી કરનાર ખેડૂતોને હવે તરબૂચની ખેતીમાંથી ઉપજ ના મળતા ખેડૂતોને હવે ચોમાસાની ખેતી કેવી રીતના કરવી તે ચિંતા સતાવી રહી છે. દિવસે દિવસે ખાતરના ભાવ બિયારણના ભાવ અને મજૂરીના ભાવ વધી રહ્યા છે. ત્યારે ખેડૂતો કપાસની ખેતી છોડીને તરબૂચની ખેતી કરી તેમાં પણ તેઓને ખોટ જતા હાલ તો જગતના તાતની મૂળી ધોવાતા આર્થિક સંકડામણ દિવસે દિવસે વધી રહી છે.