
ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ પૂર્વ મંત્રી અને ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે દુષ્કર્મના આરોપસર ફરિયાદ નોંધાઇ છે. ગાંધીનગર સેકટર 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અપનાવતાં કહ્યું હતું કે સામાન્ય રીતે 406 જેવા કિસ્સાઓમાં તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવે છે. પરંતુ શું આરોપી ધારાસભ્ય છે એટલે ફરિયાદ નોંધવામાં આવી નથી? દુષ્કર્મના આક્ષેપોનો આ ગંભીર કેસ છે છતાં ફરિયાદ નોંધ્યા પહેલાં શા માટે પૂછપરછ કરવામાં આવી?
હાઇકોર્ટની નારાજગી બાદ એડવોકેટ જનરલે ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ એફઆઇઆર નોંધવાની તૈયારી દર્શાવી હતી. એડવોકેટ જનરલે 21 ઓક્ટોબર પહેલાં એફઆઇઆર નોંધવા અંગે ખાત્રી આપી હતી.
શું છે સમગ્ર મામલો?
અમદાવાદમાં રહેતી મહિલા વર્ષ 2020માં તેની પુત્રીને લઇને ગજેન્દ્રસિંહ પરમાર અને મહેશ નામના વ્યક્તિ સાથે કારમાં જેસલમેર ફરવા જઇ રહ્યા હતા. ત્યારે આબુ રોડ પર પહોંચતા મહિલાની સગીર વયની દીકરી સાથે ગજેન્દ્રસિંહ અને અન્ય લોકોએ છેડતી કરી હતી.
પીડિત મહિલા દ્વારા ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ દુષ્કર્મ સહિતના ગંભીર આક્ષેપો કરતી અરજી વર્ષ 2021માં ગાંધીનગર પોલીસમથકમાં કરાઈ હતી. જેમાં એફઆઇઆર દાખલ કરવા પોલીસને વિનંતી કરી હતી, પરંતુ પોલીસે ત્રણ વર્ષ સુધી પીડિતાની ફરિયાદ જ નોંધી નહીં.