
ગુજરાતમાં ચોમાસાના થોડા જ સમયમાં તંત્રની બેદરકારીઓ સામે આવી છે. થોડા સમય પહેલાં અમદાવાદમાં એક આધેડનું તંત્રની બેદરકારીના કારણે ગટરમાં પડી જવાથી મોત નિપજ્યું હતું. જોકે, મંગળવારે (પહેલી જુલાઈ) ગાંધીનગરમાંથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં સાત વર્ષના એક બાળકનું મનપા દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં પડી જવાથી મોત નિપજ્યું છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, ગાંધીનગરના સેક્ટર-1માં નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે નગર પાલિકા દ્વારા નાનકડું કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ તેની આસપાસ કોઈ બેરિકેડિંગ કે ફેન્સિંગ લગાવવામાં નહતી આવી. આ દરમિયાન સોમવારે સાંજે (30 જૂન) કુલદીપ નામનો સાત વર્ષનો બાળક આ વિસ્તારમાંથી સાઇકલ ચલાવીને જઈ રહ્યો હતો. તે વખતે કુલદીપને આ કૃત્રિમ તળાવમાં પડી ગયો હતો. ગાંધીનગરમાં ભારે વરસાદના કારણે અહીં મોટી માત્રામાં પાણી ભરાયેલું હતું, જેના કારણે બાળક પાણીમાં ડૂબી ગયું અને ત્યાં જ તેનું મોત નિપજ્યું હતું. આખી રાત બાળકને શોધ્યા બાદ વહેલી સવારે સ્થાનિકો દ્વારા બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
તંત્ર પર ઊભા થયા સવાલ
બાળકના મૃત્યુથી ગ્રામજનો અને પરિવારનો લોકોમાં શોકની લાગણી છવાઈ છે. આ સાથે જ તંત્ર ઉપર પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. હજુ તો ચોમાસાની શરૂઆત છે ત્યાં તંત્રની બેદરકારીના કારણે પહેલાં અમદાવાદ અને હવે ગાંધીનગરમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે. એવામાં હજુ ચોમાસામાં આ નિષ્ઠુર તંત્ર કેટલાનો ભોગ લેશે?