12 જૂને (ગુરૂવાર) અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 મુસાફરો સહિત અત્યાર સુધીમાં કુલ 278 લોકોના દુખદ નિધન થયા છે. ત્યારે ગઈકાલે ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ આજે (16 જૂન)ના રોજ 11:30 વાગ્યે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ તેમના પરિજનોને સોંપવામાં આવશે. વિમાન દુર્ઘટનામાં ડેડબોડી એટલી હદે બળી ગઈ છે કે તેની ઓળખ થવી જ મુશ્કેલ છે. ડેડબોડીની ઓળખ માટે DNA ટેસ્ટ કરવામાં આવે છે.
DNA લેબ હાલમાં એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે
ગુજરાતમાં ફોરેન્સિક સાયન્સ ડિરેક્ટોરેટની DNA લેબ હાલમાં એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. જ્યાં અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોની ઓળખ મુખ્યત્વે ડીએનએ પરીક્ષણ દ્વારા કરવામાં આવી રહ્યા છે. હાલમાં લેબમાં કેવી રીતે ટેસ્ટિંગ કરવામાં આવે છે તેનો વિડિયો સામે આવ્યો છે.
DNAની ખાતરી કરવા માટે પીસીઆર લેબમાં મોકલવામાં આવે છે
આઇસોલેશન લેબમાં પોસ્ટમોર્ટમ નમૂનાઓ તેમજ અકસ્માત સ્થળેથી મળેલા માનવ અવશેષોની પ્રારંભિક તપાસ કરવામાં આવે છે. આ નમૂનાઓમાંથી DNA કાળજીપૂર્વક અલગ કરવામાં આવે છે. એકવાર DNA અલગ થઈ જાય પછી તે ક્વોન્ટિફિકેશન લેબમાં જાય છે. અહીં કાઢવામાં આવેલા DNAના જથ્થા અને ગુણવત્તા બંનેનું મૂલ્યાંકન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. સચોટ વિશ્લેષણ માટે પૂરતા DNAની ખાતરી કરવા માટે પીસીઆર લેબમાં મોકલવામાં આવે છે.
FSLના વરિષ્ઠ વૈજ્ઞાનિકો DNA પ્રોફાઇલ તૈયાર કરે છે
પીસીઆર પદ્ધતિ અને "થર્મલ સાયકલર મશીન" નો ઉપયોગ કરીને નમૂનાઓમાંથી અલગ કરાયેલા ડીએનએની માત્રાને વિસ્તૃત કરવામાં આવે છે. ત્યાર બાદ ડીએનએ નમૂનાઓ જે અગાઉના તમામ તબક્કાઓમાંથી સફળતાપૂર્વક પસાર થયા છે તે અંતિમ તબક્કા માટે સિક્વન્સિંગ લેબમાં પહોંચે છે. આ લેબમાં ડીએનએ નમૂનાઓ સિક્વન્સિંગ મશીન દ્વારા ચલાવવામાં આવે છે. આ પ્રક્રિયામાંથી મેળવેલ પ્રાથમિક ડેટા ઉપરથી FSLના વરિષ્ઠ વૈજ્ઞાનિકો DNA પ્રોફાઇલ તૈયાર કરે છે.