
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં લગ્ન પહેલાં જ દીકરીના કરિયાવરમાં આગ લાગી ગઈ હતી. પાનની દુકાન ચલાવતા વેપારીના રહેણાંક મકાનમાં આગ લાગતા દીકરીના લગ્ન માટે ખરીદેલો 4 લાખનો કરિયાવર સળગી ગયો હતો. આગ વધતાં પરિવારજનોએ ફાયર બ્રિગેડની ટીમને બોલાવી હતી. ફાયર વિભાગની ટીમે આગ ફેલાય તે પહેલાં જ તેના પર કાબૂ મેળવી લીધો હતો. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
4 લાખનો કરિયાવર આગમાં બળી ગયો
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં પાનના વેપારીના ઘરે દીકરીના લગ્નનો પ્રસંગ હતો. જોકે, લગ્ન પહેલાં જ આ પરિવારે મોટી દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. હકીકતમાં દીકરીને આપવા માટે ભેગો કરેલો 4 લાખનો કરિયાવર ઘરના એક રૂમમાં રાખવામાં આવ્યો હતો. ત્યારે અચાનક દીવાની ઝાળથી આગ લાગી અને આ આગ એટલી વિકરાળ બની કે, લગભગ દીકરીના કરિયાવરનો તમામ સામાન બળી ગયો.
ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
આસપાસના લોકોને આગની જાણ થતાં જે તેઓએ પાણીથી આગ ઓલલવાનો પ્રયાસ કર્યો. આગ કાબૂમાં ન આવતા ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો. ફાયર વિભાગની ટીમે સમયસર ઘટના સ્થળે આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, રાહતની વાત એ આ ઘટનામાં કોઈ જાનહાનિની સ્થિતિ સર્જાઈ નથી.