
ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આગામી દિવસોમાં ફાગણસુદ પુનમનો મેળો યોજાનાર છે. ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને ડાકોર દર્શનાર્થે જતા હોય છે. મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તેને લઈને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જ્યારે હોળી પૂનમના મેળાને લઈ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા રણછોડરાયજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ફાગણસુદ પુનમના મેળામાં ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુ આવતા હોય છે. જેમાં અમદાવાદના જશોદાનગરથી હાથીજણ રીંગરોડ લાલગેબી સર્કલથી હાથીજણ-મહેમદાવાદ મુખ્ય નેશનલ હાઈવે પરથી શ્રદ્ધાળુઓ પગપાળા કરીને ડાકોર જતા હોય છે. પગપાળા ડાકોર જતા લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડીને કેટલાક રસ્તાઓ પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ રહેશે પ્રતિબંધિત અને વૈકલ્પિક રૂટ
તમને જણાવીએ દઈએ કે, જશોદા નગર ચાર રસ્તાથી વિંઝોલ ચાર રસ્તા તરફના એક તરફના રોડ પર અવર-જવર બંધ છે, જ્યારે બીજી સાઈડ પરથી અવર-જવર કરી શકશે. તેમજ, વિંઝોલથી જશોદ નગર તરફ જતાં વાહનો રિંગરોડ પરથી ડાયવર્ટ થઈ શકશે. જેમાં વાહન ચાલકો એક્સપ્રેસ હાઈવે અને નારોલ સર્કલ તરફ અવર-જવર કરી શકશે. જેમાં 16 માર્ચથી 26 માર્ચ સુધીનો એક સાઈડનો રોડ બંધ રહેશે. આ રોડ પર ડાકોર જતા પદયાત્રીઓના જીવન જરૂરી વસ્તુ લઈ જવા માટે વાહનો, ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ સહિતના વાહનોને જાહેરનામામાં છૂટ આપવામાં આવી છે.
દર્શનના સમયમાં ફેરફાર કરાયો
ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે ફાગણી પૂનમના મેળા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો આવશે, ત્યારે ડાકોર મંદિર કમિટી દ્વારા આગામી હોળી-ધૂળેટી એટલે કે, 12થી 15 માર્ચને લઈને ભગવાનના દર્શન માટેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ફાગણ સુદ 14ના દિવસે 13 માર્ચના રોજ 4:45 વાગે નિજ મંદિર ખુલશે અને 5:00 વાગે મંગળા આરતી થશે. જ્યારે 14 માર્ચના રોજ 3:45 વાગે નિજ મંદિર ખુલશે અને 4:00 વાગે મંગળા આરતી થશે.
જ્યારે ગાંધીનગર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અને ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી 11 અને 12 માર્ચ દરમિયાન ડાકોર ફાગણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાહિત્યકાર સાંઈરામ દવે અને લોકગાયક ઉમેશ બારોટ હાજર રહેશે.