
આમ તો આયુષ્યમાન કાર્ડ કઢાવું હોય તો સરકારી તંત્ર સામાન્ય પરિવારને ધક્કા ખવડાવે છે પરંતુ મહેસાણામાં રેફ્યુજી બનીને રહેતા પાકિસ્તાનની નાગરિકના પરિવારને કાર્ડ ઈસ્યુ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલો પ્રકાશમાં આવતા જ તાલુકા અને જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પાકિસ્તાનથી ભારત આવ્યા બાદ લોંગ ટર્મ એલટીવી વિઝાને આધારે છેલ્લા પાંચ વર્ષથી લાખવડ સહિત કુક્સ ગામ ખાતે રહેતા અને હાલ સહકાર નગરમાં રહેતા ઠાકોર ધરમાભાઈ નાથુભાઈ અને તેમના પરિવારના ત્રણ સભ્યોના મળી કુલ ચારના આયુષ્માન કાર્ડ તંત્રની ભૂલ કહો કે બેદરકારીને પગલે નીકળી જતાં આરોગ્ય તંત્ર અચાનક જ હરકતમાં આવ્યું છે.
તાલુકા આરોગ્ય અધિકારી ડો.સુહાગ શ્રીમાળીએ હાલ તપાસમાં ગયા હતા અને ત્યાં જાણવા મળ્યું કે તે રેફ્યુજી હોવા છતાં તેમની પાસે આ કાર્ડ છે જેથી તેમણે આ સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારીને પત્ર પાઠવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ બે વર્ષ પૂર્વે 2022માં મહેસાણા નજીક સાંઈનાથ સોસાયટીમાં રહેતા એક જ પરિવારના છ સભ્યો દ્વારા ફોર્મ 6 ભરીને ચૂંટણી કાર્ડ પણ કઢાવી દીધા હતા અને તે મામલે આખરે એ ડિવિઝન પોલીસ મથકમાં છ સભ્યો સામે ફરિયાદ નોંધાઈ હતી.
પાકિસ્તાની પરિવારે આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કર્યો હોવાની પણ ચર્ચા
રેશનિંગ કાર્ડ, આવકના દાખલો અને આધારકાર્ડને આધારે આયુષ્માન કાર્ડ નીકળતું હોય છે જ્યારે આ પાકિસ્તાની નાગરિક છે અને અહીં રેફ્યુજી બનીને રહે છે પરંતુ કોણે કાર્ડ કાઢ્યું અને કોણે આવકનો દાખલો બનાવી આપ્યો તેની તપાસ હાથ ધરવામાં આવી છે. કોણે આ કાર્ડ કાઢ્યા છે તેની રાજ્ય કક્ષાએથી જાણકારી મંગાવામાં આવી રહી છે જ્યારે આ સમગ્ર મામલે એવી માહિતી પણ મળી છે કે તેમના પરિવારે આ કાર્ડનો ઉપયોગ પણ કર્યો છે. સવાલ એ થાય છે કે આ સમગ્ર મામલે કોણ જવાબદાર છે? તંત્ર કે પછી વચેટિયા રાજ? કે પછી આ પરિવારની બલિહારી જે સમગ્ર મામલે હાલમાં તો સવાલો સાથે વધુ તપાસ તેજ બની છે તેમ કહીએ તો નવાઈ નહી.