
ગુજરાતના નવસારીમાં 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ (Food poisoning)ની અસર જોવા મળી હતી. હનુમાન જયંતિના દિવસે પ્રસાદ (Prasad) ખાધા બાદ તબિયત બગડી હોવાનું જાણવા મળ્યું છે. હાલ, ફૂડ વિભાગ દ્વારા પ્રસાદના સેમ્પલ લઈ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. ફૂડ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, નવસારીના મટવાડા અને સામાપોર ગામે 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ(Food poisoning)ની અસર જોવા મળી હતી. હનુમાન જયંતિના દિવસે સામાપર અને મટવાડા ગામે ભેગા મળીને ભંડારાનું આયોજન કર્યું હતું. જ્યાં તમામ લોકોએ બજરંગબલીના દર્શન બાદ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
100થી વધુ લોકોને ઝાડા-ઉલટી તેમજ માથામાં દુખાવા જેવી સમસ્યા
પ્રસાદ (Prasad)ખાધા બાદ શનિવારે (12 એપ્રિલ) મોડી રાતથી 100થી વધુ લોકોને ઝાડા-ઉલટી તેમજ માથામાં દુખાવા જેવી સમસ્યા થઈ હતી. જ્યાં ફૂડપોઇઝનિંગની અસર થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, કોઈ દર્દીને ગંભીર અસર ન થતાં તમામને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
ફૂડ વિભાગે હાથ ધરી તપાસ
ભંડારામાં પ્રસાદ રૂપે પીરસવામાં આવેલી છાશ અને કેરીનો રસ શંકાસ્પદ હોવાની ચર્ચા છે. ફૂડ વિભાગ દ્વારા છાશ અને કેરીના રસના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ રિપોર્ટના આધારે ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.