
પાટણ જિલ્લાના સમી તાલુકામાં એક શિક્ષકે સરકારી તંત્રની ઉદાસીનતાને કારણે જીવ ગુમાવ્યો છે. સમી તાલુકાના ભદ્રાડા ગામના પેટાપરૂ રાજપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષક શાળામાં પતરા રિપેર કરવા જતા નીચે પટકાતા મોત થયું છે. સ્કૂલમાં સિમેન્ટના પતરા ભારે પવનને કારણે ખસી જતા શિક્ષક રિપેર કરવા માટે ઉપર ચઢ્યા હતા. જે બાદ નીચે પટકાતા તેમનું મોત થયું છે. અનેક વખત સ્કૂલની સ્થિતિ અંગે રજૂઆત કરવામાં આવી હોવા છતા તંત્ર દ્વારા કોઇ પગલા ભરવામાં આવ્યા નહતા.
સમી તાલુકાના ભદ્રાડા ગામના પેટાપરૂ રાજપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા નટવરભાઇ દરજીનું નિધન થયું છે. બે દિવસ પહેલા ભારે પવનને કારણે સ્કૂલની છતના પતરા ખસી જતા વિદ્યાર્થીઓને કોઇ ઇજા ના થાય તે માટે શિક્ષક જાતે રિપેર કરવા માટે ચઢ્યા હતા. સ્કૂલના પતરા જૂના હોઇ તેને બદલવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતા કોઇ પગલા ભરવામાં આવ્યા નહતા અને વિદ્યાર્થીઓ ખખડધજ સ્કૂલમાં ભણવા માટે મજબૂર બન્યા હતા. અંતે થાકીને શિક્ષક વિદ્યાર્થીઓને કોઇ ઇજા ના થાય તે માટે પતરૂ રિપેર કરવા માટે ઉપર ચઢ્યા હતા. આ દરમિયાન પતરૂ તૂટતા શિક્ષક વર્ગખંડમાં નીચે પટકાયા હતા જે બાદ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા ફરજ પર હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. શિક્ષકનું નિધન થતા સમી પંથકમાં શોકની લાગણી અનુભવાઇ છે. બીજી તરફ સરકારી તંત્ર સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે.
મહત્ત્વપૂર્ણ છે કે પાટણ જિલ્લાની મોટાભાગની સરકારી સ્કૂલો અંગે GSTV દ્વારા અનેક વખત તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે, તેમ છતા તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે જેને કારણે એક શિક્ષકે જીવ ગુમાવવો પડ્યો છે. સ્થાનિકોના કહેવા અનુસાર, સ્કૂલોનું ખાનગીકરણ થતા હજુ પણ ગ્રામ્ય વિસ્તારોની સરકારી સ્કૂલો પર ધ્યાન આપવામાં આવતું નથી. મોટાભાગની શાળાઓ હજુ પણ પતરાથી ઢંકાયેલી છે. એવો સવાલ પણ ઉભો થયો છે કે જો ચાલુ વર્ગખંડે કોઇ વિદ્યાર્થીના માથે આ પતરૂ પડ્યું હોત કે અન્ય દૂર્ઘટના સર્જાઇ હોત તો તેના માટે જવાબદાર કોણ?