
વડોદરાની MS યુનિવર્સિટીમાં ચંદનના બે ઝાડ ચોરાઈ ગયા હોવાની ઘટના બન્યા બાદ હવે પાટણમાં રક્તચંદનની તસ્કરીનો પર્દાફાશ થયો છે. આંધ્રપ્રદેશથી ચોરાયેલા આશરે 4 કરોડની કિંમતના રક્તચંદનનો જથ્થો પાટણથી ઝડપાયો છે. આ મામલે પાટણ પોલીસની સાથે આંધ્રપ્રદેશની પોલીસે કાર્યવાહી કરી 3 તસ્કરોની અટકાયત કરી છે.
પકડાયેલા 3 આરોપીઓ
- પરેશજી કાંતીજી જવાનજી ઠાકોર - 28 વર્ષ
- હંસરાજ વીરાજી તેજાજી જોષી - 37 વર્ષ
- ઉત્તમ નંદકિશોરભાઈ પુખરાજ સોની - 44 વર્ષ
ગોડાઉનમાંથી મળી આવ્યાં રક્તચંદનના 154 લાકડા
આંધ્રપ્રદેશના સંદુપાલી-સાનીપાયા ફોરેસ્ટ રેન્જમાંથી લાલ ચંદન ચોરી થયાની માહિતી બોર્ડર રેન્જના આઈજી અને પાટણ એસપીને અપાઈ હતી, જેના આધારે પાટણ એલસીબીએ તપાસ કરીને 3 આરોપીઓની અટકાયત કરી પૂછપરછ કરી હતી. તિરૂપતિની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ રેડ સેન્ડર્સના ડીવાયએસપી પાટણ આવી પહોંચતાં પાટણ એલસીબીએ બાલીસણા પોલીસ સાથે મળીને હાજીપુરના શ્રેયા ગોડાઉન પર સર્ચ કર્યું હતું, જ્યાંથી 70 નંબરના ગોડાઉનમાં રક્તચંદનના 154 લાકડા મળી આવ્યાં હતા.
આંધ્રપ્રદેશથી ગુજરાત કેવી રીતે આવ્યું 4 કરોડનું રક્તચંદન?
આ જથ્થો શાકભાજીની આડમાં આઈસર ટ્રકમાં ભરીને ગુજરાતમાં લવાયો હતો. તિરૂપતિની રેડ સેન્ડર્સ ટાસ્ક ફોર્સે ગઈકાલે અન્નામૈયા જિલ્લાના ચરમથે રામપ્રસાદ વેંકટરાજુની ધરપકડ કરી હતી, તેની પૂછપરછમાં જથ્થો પાટણ પહોંચાડાયો હોવાની વિગતો સામે આવી હતી.
ગુજરાતમાંથી આ ચંદન ક્યાં વેચવાનું હતું?
આ રક્તચંદનનો જથ્થો ગુજરાતમાંથી વિદેશ મોકલવાનો હતો. પકડાયેલા ત્રણેય આરોપીઓએ કબૂલાત કરી છે કે રક્ત ચંદનનો આ જથ્થો તેઓ ચીન અને સાઉથ એશિયાના દેશોમાં દાણચોરી કરીને વેચવાના હતા. સિદ્ધપુર DySP કે .કે .પંડ્યાએ જણાવ્યું હતું કે, સાઉથ એશિયાના દેશો કેટલાક દેશો અને ચીનમાં મેડિકલ ઉપયોગમાં લેવામાં આવે છે. આ તસ્કરો અને દાણચોરી મારફતે ત્યાં મોકલવાના હતા.