Home / Gujarat / Rajkot : The factory was running without the approval of RUDA and GPCB

Rajkot fire case: RUDA અને GPCBની મંજૂરી વિના ધમધમતી હતી ફેક્ટરી, જ્વલંતશીલ પ્રવાહીથી આગ વિકરાળ બની

Rajkot fire case: RUDA અને GPCBની મંજૂરી વિના ધમધમતી હતી ફેક્ટરી, જ્વલંતશીલ પ્રવાહીથી આગ વિકરાળ બની

રાજકોટમાં TRP અગ્નિકાંડના પીડિતોને હજુ સુધી ન્યાય નથી મળ્યો ત્યારે ફરી એકવાર ભયાનક આગ લાગી હતી. સોમવારે શહેરના કુવાવડા રોડ પર નવાગામ (આણંદપર) ખાતે રાજારામ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં દિવેલીયાપરા વિસ્તારમાં સાબુ બનાવતી ફેક્ટરીમાં જ્વલંતશીલ પ્રવાહી સ્ટોર કરતાં કારખાના જે. કે. કોટેજમાં આગ લાગી હતી. જેમાં હવે મોટો ખુલાસો થયો છે. આ ફેક્ટરી છેલ્લાં અનેક વર્ષોથી RUDA અને GPCBની મંજૂરી વિના ધમધમી રહી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બાંધકામ ગેરકાયદેસર હશે તો લેવાશે પગલાં

કુવાડવા રોડ પર ફેકટરીમાં આગ લાગવાનો મામલે RUDAના ચીફ એક્ઝિક્યુટિવ જી.વી.મિયાણીનું નિવેદન આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે  2007માં ઔધોગિક એકમો માટે પ્લોટનો રૂડામાંથી લે-આઉટ મંજુર કરાવવામાં આવી હતી. બાંધકામની મંજૂરી કે NOC મેળવવા માટેની કોઈ પ્રક્રિયા કરવામાં આવી નથી.RUDAના અધિકારીએ સ્વીકાર્યું કે અમારા અધિકારીઓએ નિયમિત ચેકીંગ કર્યું જ નથી તેનું આ પરિણામ આવ્યું છે. તો બીજી તરફ અધિકારીએ એ પણ જણાવ્યું કે જો આ બાંધકામ ગેરકાયદેસર હશે તો તે અંગે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

GPCBની NOC અને મંજૂરી પણ નહોતી

નવાગામ રાજારામ ઈન્ડસ્ટ્રીઝમાં સાબુના કેમિકલ બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાનો મામલામાં નવો ખુલાસો થયો છે, જેમાં ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં કેમિકલના જથ્થાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો જેના કારણે આગ વધુ વિકરાળ બની હતી. GPCBની NOC અને મંજૂરી પણ ન હતી, ફેક્ટરીમાં ફાયર noc પણ  લેવામાં આવી નહોતી.

મંજૂરી વિના ધમધમતી હતી ફેક્ટરી

મળતી માહિતી મુજબ, જે. કે. કોટેજ ફેક્ટરી છેલ્લાં અનેક વર્ષોથી RUDA (રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી)ની મંજૂરી વિના ધમધમી રહી હતી. ફેક્ટરીના માલિક દ્વારા GPCB(ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)ની પણ મંજૂરી લેવામાં આવી ન હતી. આ સિવાય ફેક્ટરી પાસે ફાયર NOC પણ ન હતું. તેમ છતાં અનેક વર્ષોથી તંત્રની બેદરકારીના કારણે આ ફેક્ટરી ધમધમી રહી છે. હજુ તંત્ર TRP આગકાંડના પીડિતોને ન્યાય નથી અપાવી શક્યું ત્યાં ફરી એકવાર તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. 

ફેક્ટરીના માલિકે આપ્યું નિવેદન

આ મામલે ફેક્ટરીના માલિકે જણાવ્યું કે, જ્યારે બિલ્ડિંગ બનાવવામાં આવી ત્યારે અમને GPCB અને RUDA ની મંજૂરી લેવી પડશે કે કેમ તે વિશે કોઈ માહિતી નહતી. તંત્ર દ્વારા અમને કોઈ નોટિસ અપાઈ નથી. 

પોલીસે હાથ ધરી તપાસ

હાલ, આ મામલે કુવાવડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વીડિયોગ્રાફી દ્વારા સમગ્ર પુરાવા એકઠા કરી રહી છે. હજુ સુધી આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસે ફેક્ટરી માલિકની બેદરકારી અંગે પણ તપાસ હાથ ધરી છે. ત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે કે, ક્યાં સુધી તંત્ર કોઈ મોટી દુર્ઘટના ન થાય ત્યાં સુધી ઊંઘતી રહેશે? ડીસામાં પણ આ જ પ્રકારે ગેરકાયદે ફેક્ટરીના કારણે 21 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અનેક પરિવારોનો માળો વિખેરાઈ ગયો છે. ત્યારે હજું ક્યાં સુધી તંત્ર આવી મોતનો તમાશો જોતી રહેશે? 

શું હતી ઘટના?

મળતી માહિતી મુજબ, મંગળવારે બપોરે 12 વાગ્યાની આસપાસ દિપન નડીયાપરાની માલિકીના જે. કે .કોટેજ ઇન્ડસ્ટ્રીઝ નામના કારકાનામાં આગ લાગ્યાનો કોલ મળતાં ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગે ક્ષણવારમાં જ એટલી વિકરાળ રૂપ લઈ લીધું હતું કે, તેના ધુમાડાના ગોટેગોટા પાંચ-સાત કિ.મી. દૂર માધાપર ચોક, ગોંડલ ચોકથી દેખાતા હતા. આગ કેસ્ટર ઓઇલમાં લાગી હતી અને સાબુ બનાવવાના કેમિકલ ઉપરાંત પાઇન ઓઇલ, ફ્લેગનન્સી સુગંધી કેમિકલથી આગ ચોતરફ ફેલાવા લાગી હતી. આગથી સળગેલા કેમિકલ ભરેલા કેરબા ધડાકાભેર ફાટ્યા હતા અને રસ્તા પર જ્યાં આ કેમિકલ ઢોળાયું ત્યાં પણ આગના લપકારા નજરે પડતાં આજુબાજુના વિસ્તારમાં ભય સાથે નાસભાગ મચી હતી. કારખાના સામે વંડામાં રાખેલ ગાયોને તુરંત છોડીને દૂર લઈ જવાઈ હતી.

Related News

Icon