Home / Gujarat / Sabarkantha : Congress demands action against Idar MLA Ramanlal Vora

ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરા સામે કાર્યવાહી કરવા કોંગ્રેસની માગ, ગેરકાયદે ખેડૂત ખાતેદાર બન્યા હોવાના આક્ષેપ

ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરા સામે કાર્યવાહી કરવા કોંગ્રેસની માગ, ગેરકાયદે ખેડૂત ખાતેદાર બન્યા હોવાના આક્ષેપ

સાબરકાંઠા: ઇડરના ભાજપ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી રમણલાલ વોરા સામે કાર્યવાહી કરવા આજે ઇડર તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીની મુલાકાત કરવામાં આવી હતી અને ધારાસભ્ય વિરુદ્ધ થયેલ અરજી મામલે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. જો ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની પણ ઇડર કોંગ્રેસ દ્વારા ચીમકી આપવામાં આવી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

થોડા દિવસ પહેલા સાબરકાંઠાના ઈડરના દાવડ ગામની સીમમાં આવેલી જમીનમાં ઇડરના ભાજપ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી રમણલાલ વોરા સહિત લોકો ગેરકાયદે ખેડૂત ખાતેદાર બન્યા હોવાનો અને ગણોતધારાની જોગવાઈ મુજબ કાર્યવાહીની માંગ સાથે અમદાવાદના અરજદારે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત બાદ કલેક્ટર કચેરીએ રમણલાલ વોરા સહિત લોકો સામે ઈડરના નાયબ કલેક્ટરને નિયમોનુસાર કાર્યવાહી કરીને અહેવાલ મોકલવા આદેશ આપ્યો હતો.

શું છે સમગ્ર મામલો?

ખેડૂત તરીકેના લાભ મેળવવા ખોટા દસ્તાવેજ આધારે ખેડૂત બનવા મામલે ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરાના એક બાદ એક કરતૂત સામે આવી રહ્યા છે. ગાંધીનગરના પાલેજની જમીનમાં ખોટી રીતે નામ દાખલ કરવાનો વિવાદ તો હજુ શમ્યો નથી. ત્યાં જ ઇડરના દાવડની સીમની જમીન બાબતે પણ આક્ષેપો થતાં કલેક્ટર તંત્રએ કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી છે. 

અમદાવાદના નારોલમાં રહેતા પ્રકાશ એલ. પરમાર નામના નાગરિકે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી હતી. જેમાં આક્ષેપ કર્યો હતો કે, ઈડર તાલુકાના દાવડ ગામની સીમના સર્વે નં. 584, 549, 551 અને 581ની જમીનોમાં ધારાસભ્ય રમણ વોરા સહિત બિનખેડૂત હોવા છતાં ખોટી રીતે ખેડૂત તરીકે દાખલ થયેલા છે. જેની તાકીદે તપાસ કરી કાયદેસર કાર્યવાહી માટે માંગ કરી હતી. 

અરજદારે આ સમગ્ર પ્રકરણમાં ગણોતધારા હેઠળ કાર્યવાહી કરવા રજૂઆત કરેલી હોવાથી આખરે કલેકટર કચેરી લેખિત થકી ઇડરના નાયબ કલેકટરને નિયમોનુસાર કાર્યવાહી કરી આધાર પુરાવા સાથેનો અહેવાલ મોકલી આપવા જણાવ્યું હતું.

જો કે, જાણવા મળતી બિનસત્તાવાર માહિતી મુજબ દાવડની સદર જમીનનો અન્યને નામે રિવર્સ દસ્તાવેજ થઈ છે. જો રિવર્સ દસ્તાવેજ થયો હોય તો કેમ રિવર્સ કરવો પડ્યો તે પણ તપાસનો વિષય છે. 

પ્રકરણ મામલતદાર, કૃષિ પંચને મોકલાવ્યું: નાયબ કલેક્ટર 

આ બાબતે ઇડરના નાયબ કલેક્ટર રોનક પટેલે જણાવ્યું હતું કે, 'દાવડ જમીન પ્રકરણમાં અરજદારે ગણોતધારાની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવા કલેકટર કચેરીમાં લેખિત રજુઆત કરી હતી. કલેકટર કચેરીમાંથી નિયમોનુસાર કાર્યવાહી માટે મને લેખિત મોકલાવ્યું હતું. જો કે ગણોતધારા બાબતના અધિકારો મામલતદાર અને કૃષિ પંચ હેઠળના હોવાથી કાર્યવાહી માટે સમગ્ર પ્રકરણ મામલતદારને મોકલી આપ્યું છે. મામલતદારે પણ ગણોતધારા હેઠળની કાર્યવાહી માટે તેઓના વિશેષાધિકાર હોવાનું સ્વીકાર્યું હતું.'

 

Related News

Icon