
સુરતના વેડરોડ સ્થિતિ સ્વામિનારાયણ ગુરુકુલમાં સહજાનંદી પાઠશાળાના 1700માં પાઠની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જરૂરિયાતમંદો માટે અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર 1700 દિવસથી સહજાનંદી પાઠશાળાનો સત્સંગ લાભ દરરોજ સવારે 7-45 થી 8-30 દરમ્યાન ઓનલાઈન તથા ઓફલાઇન ભાવિકો લે છે. શિક્ષાપત્રીના એક શ્લોકમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે લખેલ છે કે ગરીબજનને વિષે દયાવાન થવું, આ આદેશની ઉપર વિવેચન કરતા ધર્મવલ્લભદાસજી સ્વામીએ કહેલું કે આજે જ્યારે સહજાનંદી પાઠશાળાને ૧૭૦૦ પાઠ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે ૧૭૦૦ ગરીબોને અનાજની કીટનું વિતરણ કરવું. ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા આપણા ગુરુદેવ રાજકોટશ્રી સ્વામિનારાયણ ગુરુકુલના સંસ્થાપક શાસ્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીનો સ્વભાવ ગરીબો પ્રત્યે દયાવાન હતો. અન્ન, ધન, વસ્ત્ર આપીને તેઓનું દારિદ્રીય ટાળતા.
સ્વામી સ્મરણપ્રિયદાસજી, ભગવાનજીભાઈ કાકડીયા વગેરે યુવાનોએ ૧૭૦૦ કીટ તૈયાર કરાવી. જેમાં ૩ કિલો ઘઉં, ૨ બે કિલો ચોખા, ૧ કિલો તુવેરદાળ, ૧ કિલો ખાંડ, તથા ૧ લીટર તેલ મળી આઠ કિલોની ૧૭૦૦ કીટો તૈયાર કરી, ૧૭૦૦ મા સહજાનંદી પાઠના અંતે ગ્રંથરાજ શિક્ષાપત્રીનું તુલસીદલ તથા પુષ્પપાંખડીથી પૂજન ધર્મવલ્લભદાસજી સ્વામીએ કર્યું, કીટ વિતરણના પ્રારંભ પૂર્વે કીટોને ભગવાન પાસે પધરાવી પુષ્પપાંખડીથી પૂજન કરવામાં આવ્યું. ભગવાનને પ્રાર્થનારૂપે કહેવાયું કે વાપરનારાને ભગવાન સુખી કરે, વ્યસન મુક્ત બની સાત્વિક જીવન જીવે. પરિવારમાં સંપ અને સ્નેહ જળવાય.