
સુરતમાં ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલી ભયજનક મકાનો સામે કાર્યવાહીની ગતિ તેજ કરવામાં આવી છે. મનપાએ ચોમાસા દરમિયાન નિકળતા વરસાદના પગલે ભયજનક મિલકત ધસે કે ધરાશાયી થાય તેવી સ્થિતિને ટાળવા માટે 270થી વધુ મિલકતદારોને સત્તાવાર નોટિસ ફટકારી છે.
સેન્ટ્રલ-ઉધના ઝોનમાં જોખમી મિલકતો વધુ
મહાનગરપાલિકા દ્વારા મળતી માહિતી અનુસાર, સુરતના સેન્ટ્રલ ઝોન અને ઉધના ઝોનમાં સૌથી વધુ જોખમભરી મિલકતો નોંધાઈ છે. આ મકાનો ઘણાં વર્ષ જૂના, જર્જરિત હાલતમાં છે અને વસવાટ માટે અસુરક્ષિત ગણાતા હોવા છતાં તેમાં હજુ પણ કેટલાક પરિવાર રહી રહ્યા છે. આ મિલકતો ચોમાસા દરમિયાન મોટા અકસ્માતનું કારણ બની શકે છે.
સ્પષ્ટ નોટિસ અપાઈ
મનપાની એન્જિનિયરિંગ શાખાએ અગાઉ સર્વે કરીને શહેરના વિવિધ વિસ્તારોમાં ભયજનક મકાનોની યાદી તૈયાર કરી હતી. તેની આધારે આ મિલકતદારોને નોટિસ પાઠવીને તાકીદે મકાનની યોગ્ય મરામત અથવા નાબૂદ કરવાની સુચના આપવામાં આવી છે. નોટિસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો મિલકતદારો દ્વારા સમયમર્યાદા સુધીમાં જરૂરી પગલા લેવામાં નહીં આવે તો પાલિકા જાતે તે મિલકત તોડશે અને તેનું સંપૂર્ણ ખર્ચ મિલકતદારો પાસેથી વસૂલવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા જનહિતમાં આ પગલું લેવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સુરતમાં ચોમાસા દરમિયાન ભયજનક મકાનો ધરાશાયી થતાં જાનહાનીના બનાવો નોંધાયા હતા. આવા બનાવોને રોકવા માટે,મનપાએ વધુ સક્રિયતા દાખવી છે.