
રાજ્યમાં વસવાટ કરી રહેલા વિદેશી નાગરિકો, ખાસ કરીને પાકિસ્તાનના નાગરિકોની ઓળખ કરી તેમને તાત્કાલિક ધોરણે પરત મોકલવા માટે રાજ્ય સરકારએ કરેલી સખત કામગીરી શરૂ થઈ ગઈ છે. રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તમામ જિલ્લા પોલીસ વડાઓને આ બાબતે સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે. આ સંદર્ભે સૂરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે માહિતી આપતા જણાવ્યું હતું કે, “રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવીના સૂચનાના આધારે અમારું કાર્ય શરૂ થઈ ગયું છે. હાલ અમે સૂરતમાં રહેલા પાકિસ્તાની નાગરિકોની યાદી તૈયાર કરી રહ્યા છીએ. આ નાગરિકો કેટલાય પ્રકારની કેટેગરીમાં આવે છે – જેમ કે વિઝા ઉપર રહેલા, વિઝાનું સમાપ્ત થયેલું ગાળું અને કેટલાક કેસોમાં રહેઠાણ માટે અરજી કરનારાઓ પણ સામેલ છે.”
કાર્યવાહી હાથ ધરાઈ
તેમણે આગળ ઉમેર્યું કે, “અમારું ધ્યાન મુખ્યત્વે એ નાગરિકો ઉપર છે જેમની વિઝાની મુદત સમાપ્ત થઈ ગઈ છે અથવા જે નિયમ વિરુદ્ધ રીતે દેશમાં વસવાટ કરી રહ્યા છે. તમામ વિગતવાર માહિતી એકત્રિત કર્યા બાદ તે યાદી ગુજરાત રાજ્ય ગૃહવિભાગને મોકલવામાં આવશે. ત્યારબાદ આગળની કાર્યવાહી તરીકે તેમની પરત વતન રવાનગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.”
સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસ
પોલીસ કમિશનરે સ્પષ્ટતા કરી હતી કે, "આ પ્રક્રિયા પુરી રીતે કાયદેસર અને માનવાધિકારના ધોરણો અનુસાર ચલાવવામાં આવશે. જેમજેમ માહિતી તૈયાર થશે, તેમજ અમે મીડિયા અને જનતાને વિગતો આપીશું."રાજ્ય સરકારનો આ નિર્ણય દેશની આંતરિક સુરક્ષા અને સ્થાનિક વ્યવસ્થા જાળવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સાથે જ સરકારી તંત્ર દ્વારા પુનઃ આવા વિદેશી નાગરિકોની દાયકાઓથી ચાલતી ગેરકાયદે વસવાટની સમસ્યાનું ઉકેલ લાવવાનો પ્રયાસ પણ ગણાય છે.