
સુરતમાંથી પસાર થતી પાવરગ્રીડ લાઈનને વિરોધનો અંત આવવાનું નામ નથી લઈ રહ્યું. ત્યારે આજે સુરત જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ આવી પહોંચ્યા હતાં. ખેડૂતોએ કહ્યું કે, વિજ પરિવહન માટે ટાવર લાઈન બાંધવામાં આવે છે. હાલમાં અમારા વિસ્તારમાં ખાવડાથી નવસારી ૭૬૫ કે.વી. ની વિજ પરિવહન લાઈન નાંખવા માટે ટાવરો બાંધવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં વિજ પરિવહન કરવા માટેનાં હાલનાં કાયદાઓનુ સરેઆમ ઉલ્લઘંન કરવામાં આવી રહેલ છે. તેમજ કાયદાઓનું ખોટું અર્થઘટન કરીને ખેડૂતોને રંજાડવામાં આવી રહેલ છે. જેને લઈને ખેડૂતોમાં વ્યાપક પ્રમાણમાં અસંતોષ ઉત્પન્ન થયેલ છે.
લાભકારક કાયદો બનાવવાની માગ
વિજ ટાવર લાઈન નાખવા માટે વિજ કંપની અને વિજ પરિવહન કરતી કંપનીઓ દ્વારા અંગ્રેજો ના સમયમાં ૧૮૮૫ ના ટેલિગ્રાફીક એકટ હેઠળ નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવે છે. જેને કારણે ખેડુતોને તેમજ પર્યાવરણને ખૂબ મોટુ નુકશાન થઈ રહેલ છે. એ સંજોગોમાં ૧૮૮૫ નાં ટેલિગ્રાફિક કાયદાને નાબુદ કરી પર્યાવરણ અને ખેડૂતોને લાભકારક કાયદો બનાવવા માટે વિનંતી છે. ) ભારત સરકાર દ્વારા સ્થાપિત ૨૦૦૩ ના ઈલેકટ્રીસિટી એકટ નું ખોટું અર્થઘટન કરી વીજ પરિવહનની લાઈન જઈ રહી છે. કંપનીઓ ખોટી રીતે ખેડૂતોનાં ખેતરમાં દાખલ થઈ કોઈપણ જાતની નોટિસ કે વળતર ચૂકવ્યા સિવાય ટાવરો બાંધવાની કામગીરી વહીવટી તંત્ર અને પોલિસતંત્રનાં મેળાપીપણાં કરી રહેલ છે. જેની તલસ્પર્શી તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવા ઉપરાંત ૨૦૦૩ નાં ઈલેક્ટ્રીસીટી એક્ટમાં પર્યાવરણ અને ખેડૂતોને લાભ થાય એવા ફેરફાર કરવા વિનંતી છે.
કોર્ટમાં જવાની ચીમકી
પરિમલ પટેલએ કહ્યું કે, પાવરગ્રીડના અધિકારીઓ એસઓપીના વિરુદ્ધ જઈને કામ કરી રહ્યાં છે. જેથી અમે આખા જિલ્લાના ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરી છે. વળતર બાબા આદમના જમાનાનું આપે છે. જેથી નવા કાયદા પ્રમાણે વળતર આપવામાં આવે તેવી રજૂઆત કરી છે. જિલ્લા કલેક્ટરે પોતાના પ્રયાસ કરવાનું કહ્યું છે. જો યોગ્ય ન્યાય નહીં મળે તો ઉપર કોર્ટમાં પણ જઈશું.