
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે સ્કૂલોમાં ઉજવણી એક તરફ ચાલી રહી છે, બીજી તરફ સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી નંદુબા સ્કૂલ ખાતે વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. સ્કૂલ દ્વારા એન્યુઅલ ફંકશનની ફીના મુદ્દે વિદ્યાર્થીઓને ક્લાસ બહાર ઉભા રખાયા હતા. જેથી વાલીઓએ સ્કૂલ પર પહોંચીને હોબાળો મચાવ્યો હતો. જેથી પોલીસને ઘટના સ્થળે દોડી જવાની ફરજ પડી હતી.
સતત બીજા દિવસે વિરોધ
અલથાણ વિસ્તારમાં આવેલી નંદુબા સ્કૂલ દ્વારા એન્યુઅલ ફંક્શન ફી મુદ્દે સતત બીજા દિવસે વાલીઓનો વિરોધ યથાવત રહ્યો છે. ગઈકાલે 60 વિદ્યાર્થીઓને ક્લાસ બહાર ઊભા રાખ્યા બાદ વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. સ્કૂલ પ્રિન્સીપાલ મોનિકા શર્માના વર્તન સામે રોષ વ્યક્ત કરાઈ રહ્યો છે. વાલીઓએ કહ્યું કે, શિક્ષકો દ્વારા માર મરાતો હોવાનો વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરાઈ રહ્યો છે.
ગેરવર્તનથી ટીસી કઢાવી લેવાની ચીમકી
એન્યુઅલ ફંકશનની ફી ન ભરનાર વિદ્યાર્થીઓને ક્લાસ બહાર ઉભા રાખવામાં આવતા વિરોધ કરી રહ્યા હોવાનું વાલીઓએ કહેતા ઉમેર્યું કે, અમારા સંતાનોને ટોયલેટ બહાર ઉભા રખાયા છે. જેથી અમારી એક જ માગ છે કે, અમારા સંતાનો સાથે જે પ્રકારનું ગેરવર્તન શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું છે. તેમને પણ તેવો જ અનુભવ કરાવવો જોઈએ.અમે અમારા બાળકોના ટીસી પણ આ સ્કૂલમાંથી કઢાવી લઈશું તેમ રોષપૂર્વક વાલીઓએ કહ્યું હતું.