
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘુસીને 9 આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા છે.પહેલગામ આતંકી હુમલાના બદલાની કાર્યવાહીને 'ઓપરેશન સિંદૂર' નામ આપવામાં આવ્યું હતું. ભારતીય સેના તરફથી બે મહિલા અધિકારીઓએ વિદેશ સચિવ વિક્રમ મિસરી સાથે 'ઓપરેશન સિંદૂર'ની મીડિયા બ્રીફ્રિગ આપી હતી જેમાં કર્નલ સોફિયા કુરેશી અને બીજા વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ છે. કર્નલ સોફિયા કુરેશી કોણ છે, ક્યારે સેનામાં સામેલ થયા અને ક્યારે ચર્ચામાં આવ્યા? ગુજરાત સાથે શું સબંધ છે? તે તમામ સવાલના જવાબ જાણીયે...
વડોદરા માટે ગર્વની વાત
સોફિયા કુરેશી વડોદરામાં મહારાજા સયાજીરાવ યૂનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થિની રહી ચુક્યા છે. વડોદરાની એમ.એસ યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગમાંથી સ્નાતક અને બાયોકેમેસ્ટ્રી વિભાગમાંથી સોફિયાએ વર્ષ 1997માં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. સોફિયાના ક્લાસમેટે દેવેશ સુથારે નિવેદન આપ્યુ છે. દેવેશ સુથારે કહ્યું કે, સોફિયા ખુબ મિલનસાર સ્વભાવની હતી, સોફિયાનું પહેલાથી આર્મીનું બેકગ્રાઉન્ડ રહ્યું છે.આજે અમને ખૂબ ગર્વ છે, સોફિયાએ દેશ, વડોદરા અને એમ એસ યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. સોફિયા કુરેશી પ્રોફેસર હરિ કટારિયાના ગાઇડન્સમાં રિસર્સ પણ કરતી હતી.
સૈન્ય પરિવારમાંથી આવે છે સોફિયા
ગુજરાતની ધરતીની એક દિકરી કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ માટે ગૌરવનું જીવતું પ્રતિબિંબ બની છે. ભારતીય સેનાની આ બહાદુર મહિલા અધિકારીએ “ઓપરેશન સિંદૂર”ની સફળતા અંગે મીડિયાને સંબોધન કરીને સમગ્ર રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું છે.
કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાની રહેવાસી છે અને એમ.એસ. યુનિવર્સિટીમાંથી 1997માં બાયો કેમેસ્ટ્રીમાં માસ્ટર્સ પૂર્ણ કર્યું છે. વૈજ્ઞાનિક અભ્યાસ બાદ તેમણે ભારતીય સેના પસંદ કરી અને Corps of Signalsમાં જોડાઈને અનેક સફળતા મેળવી. તેમના દાદા પણ ભારતીય સેના સાથે જોડાયેલા હતા, જેમણે ધાર્મિક શિક્ષક તરીકે સેવામાં યોગદાન આપ્યું હતું. સેનાના સંસ્કારોથી ઉછરેલી સોફિયા આજે પોતે અને તેમના પતિ ભારતીય સેનાની મેખેનાઇઝ્ડ ઇન્ફેન્ટ્રીમાં અધિકારી છે. બંને દેશની રક્ષા માટે સમર્પિત છે.
2016માં કર્નલ સોફિયા એ ભારતીય સેનાના ઇતિહાસમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. તેઓ પહેલી મહિલા અધિકારી તરીકે ભારતીય દળનું નેતૃત્વ કરવા માટે ASEAN પ્લસ દેશોની મલ્ટીનેશનલ મિલિટરી એક્સરસાઈઝ ‘ફોર્સ 18’માં ભાગ લેનારા 18 દેશોમાં એકમાત્ર મહિલા કમાન્ડર રહી. તેમના નેતૃત્વમાં ભારતીય દળે વિશ્વસ્તરે પોતાના કૌશલ્ય અને સંકલ્પશક્તિનું પ્રદર્શન કર્યું.
કર્મક્ષેત્રે માત્ર યોધ્ધાની ભૂમિકા નથી ભજવી, પરંતુ તેઓએ આંતરરાષ્ટ્રીય શાંતિ મિશનમાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે. યુનાઇટેડ નેશન્સની પીસકીપિંગ ઓપરેશન્સ અંતર્ગત છ વર્ષની સેવાકાળ દરમિયાન 2006માં તેઓ કોંગોમાં તૈનાત રહ્યા હતા. શાંતિ સ્થાપના અને માનવીય સહાયમાં તેમણે મહત્ત્વનું કામ કર્યું છે. “વિસંવાદિત વિસ્તારોમાં શાંતિ લાવવા માટેનો પ્રયાસ એ મારા માટે ગૌરવનો ક્ષણ રહ્યો છે,” તેમનો સ્પષ્ટ સંદેશ છે.