
વૈવાહિક દુષ્કર્મ (મેરિટલ રેપ)ને ગુનો જાહેર કરવાની માગણી કરતી અરજીની સર્વોચ્ચ અદાલતે ગુરુવારે સુનાવણી કરી હતી. વૈવાહિક બળાત્કાર મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પતિઓને તેમની પત્નીઓ સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાની મંજૂરી આપતી જોગવાઈઓની બંધારણીય માન્યતાને ધ્યાનમાં લેવામાં આવશે. આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે શું લગ્ન પછી પતિને સેક્સમાં મળતી છૂટ નાબૂદ કરવામાં આવે તો નવો ગુનો સર્જાશે?
CJI ચંદ્રચુડે કોર્ટમાં વકિલને પૂછ્યું, તમે કહી રહ્યા છો કે વૈવાહિક બળાત્કાર સંબંધિત અપવાદને ખતમ કરવાથી કોઈ નવો ગુનો સર્જાશે નહીં. અપવાદને કારણે જો કોઈ સ્ત્રીની ઉંમર 18 વર્ષથી વધુ હોય તો લગ્ન પછી પતિને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની છૂટ મળે છે. ધારો કે આ અપવાદ નાબૂદ કરવામાં આવે તો શું નવો ગુનો સર્જાશે? શું કોર્ટ પાસે આ અપવાદની બંધારણીય માન્યતા સ્વતંત્ર રીતે તપાસવાની સત્તા છે?
CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે IPC(હવે BNS)ની કલમ 375ની અપવાદ ક્લોઝર પર સુનાવણી કરી હતી. આ અંતર્ગત જો પત્ની સગીર ન હોય તો પતિ સાથેના શારીરિક સંબંધોને વૈવાહિક બળાત્કાર તરીકે વર્ગીકૃત કરી શકાય નહીં.
CJIએ કહ્યું કે જ્યારે પત્ની 18 વર્ષથી ઓછી હોય ત્યારે તે બળાત્કાર છે અને જ્યારે તે 18 વર્ષથી ઉપરની હોય ત્યારે તે રેપ નથી. આ BNS અને IPC વચ્ચેનો તફાવત છે. સુનવણી દરમિયાન CJIએ કહ્યું, આ કાયદાના અપવાદ 2 મુજબ પત્ની સાથે એનલ સેક્સ રેપ નથી. તેના પર અરજદારના વકીલે કહ્યું કે અમે આને પડકારી રહ્યા છીએ.
CJIએ કહ્યું કે, કાયદો કહે છે કે વજાઇનલ સેક્સ હોય કે એનલ સેક્સ. જ્યાં સુધી તે લગ્ન સંબંધમાં થાય છે તે બળાત્કાર નથી. એડવોકેટ કરૂણા નંદીએ દલીલ કરી કે સેક્શન 63A એ પણ કહે છે કે જો કોઈ પુરુષ સ્ત્રીની યોનિ, મોં વગેરેમાં બીજા પુરુષનું લિંગ દાખલ કરે તો તે પણ બળાત્કાર ગણાશે. ત્યારે જજે કહ્યું કે, પરંતુ તે અપવાદ હેઠળ આવશે નહીં.
જસ્ટિસ પારડીવાલાએ જણાવ્યું હતું કે, જાતીય પ્રવૃત્તિ શબ્દની યોગ્ય વ્યાખ્યા કરવામાં આવી નથી? ધારો કે પતિ તેની પત્નીને બીજા પુરુષ સાથે સેક્સ કરવા દબાણ કરે તો શું તે અપવાદ 2 હેઠળ આવશે? ના, નહીં આવે.
પત્નીની પરવાનગી વિના પતિ દ્વારા બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાને મેરિટલ રેપ કહેવાય છે. મેરિટલ રેપને ઘરેલું હિંસા અને પત્ની સામે જાતીય સતામણીનો એક પ્રકાર ગણવામાં આવે છે. ભારતમાં મેરિટલ રેપને ગુનો ગણવામાં આવતો નથી. જણાવી દઈએ કે અરજીકર્તાઓએ BNSની કલમ 63માંથી અપવાદ દૂર કરવા માટે 3 દલીલો આપી છે.
લાંબા સમયથી વૈવાહિક બળાત્કાર અંગે નવો કાયદો બનાવવાની માગ કરવામાં આવી રહી હતી. છેલ્લા બે વર્ષમાં દિલ્હી હાઈકોર્ટ અને કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયો બાદ તેની માગ વધુ તીવ્ર બની છે. સુપ્રીમ કોર્ટમાં બે મુખ્ય અરજીઓ છે, જેની સુનાવણી થશે. એક અરજી પતિ તરફથી દાખલ થઈ હતી, જ્યારે અન્ય કેસમાં મહિલાએ અરજી કરી હતી.