
મહારાષ્ટ્રથી ભાજપના રાજ્યસભા સાંસદ મેધા કુલકર્ણીએ પાર્ટી કાર્યકર્તાઓ સાથે પૂણેમાં લીલી દિવાલને ભગવો (કેસરી) કલર કરી દીધો હતો. હવે આ મામલે રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના નેતા મેધા કુલકર્ણીએ દાવો કર્યો હતો કે, 'શહેરમાં દિવાલોને ઈરાદાપૂર્વક લીલો રંગ ન કરવો જોઈએ.' શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સુષ્મા અંધારેએ આનો સખત વિરોધ કર્યો હતો.
ભાજપના સાંસદ મેધા કુલકર્ણીએ જે દિવાલ પર કલર કર્યો છે, તે પૂણેના તિલક રોડ પાસે આવેલી છે. આ દિવાલને લીલો રંગ કરવામાં આવ્યો તે પહેલા તે પીળી હતી. આ જગ્યા પર કથિત રીતે ફૂલો અને અગરબત્તીઓ રાખવામાં આવી હતી, ત્યારબાદ મહિલા સાંસદે આ પ્રશ્ન ઊઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, 'અહીં પહેલાં ક્યારેય ફૂલો અને પ્રસાદ નહોતા આવ્યા, તે અચાનક કેવી રીતે આવ્યા?'
'અમે લીલો રંગ હટાવી દીધો છે'
મહિલા સાંસદ મેધા કુલકર્ણીએ જણાવ્યું હતું કે, 'અમે લીલો રંગ હટાવીને હિન્દુ ગૌરવના પ્રતિક તરીકે ભગવા રંગનો ઉપયોગ કર્યો છે. આ હિન્દુઓને જાગૃત કરવાનો એક ભાગ છે. અમને ગર્વ છે અને અમે આવા સ્થળોને મઝારોમાં રૂપાંતરિત કરવા અથવા નમાઝ શરૂ કરવાના પ્રયાસોને સહન કરીશું નહીં.' આ ઉપરાંત તેમણે શહેરના અન્ય ભાગોમાં સમાન પ્રવૃત્તિઓ સામે ચેતવણી આપતાં જમીન અને સંપત્તિનું રક્ષણ કરવાની અપીલ કરી હતી.
આ પણ વાંચો : 'હનુમાનજીનો જન્મ રાજભર જ્ઞાતિમાં થયો હતો, આજે પણ ગામમાં...', ભાજપ સહયોગી દિગ્ગજ નેતાનો દાવો
ઉદ્ધવ જૂથે વિરોધ કર્યો
આ ઘટનાને લઈને વિવાદ સર્જાયો છે, શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સુષ્મા અંધારેએ મેધા કુલકર્ણીના આ પગલાનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, 'શું પૂણેમાં ભાજપ કાર્યકર્તાઓએ કે મેધા કુલકર્ણીએ મહિલાઓની સુરક્ષા જેવા મુદ્દાઓ પર એવી જ ચિંતા દર્શાવી હતી જે તેઓએ દિવાલને રંગતી વખતે દર્શાવી હતી? જો જનપ્રતિનિધિઓ આવા કૃત્યો કરે છે તો તેમણે રાજકારણ છોડીને ધાર્મિક પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવું જોઈએ.'