
ભારતીય ચૂંટણી પંચના એક મહત્ત્વનો નિર્ણયથી 23 પાર્ટીઓના અસ્તિત્વ સામે જોખમ ઉભું થયું છે. વાસ્તવમાં આ પાર્ટીઓએ વર્ષ 2019થી એક પણ ચૂંટણી લડી નથી, જેના કારણે ચૂંટણી પંચે કારણદર્શક નોટિસ ફટકારી છે. પંચે સ્પષ્ટ કહ્યું કે, ‘આ પાર્ટીઓ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 હેઠળ લાભો મેળવી રહ્યા છે, પરંતુ તેઓ ચૂંટણીમાં કોઈપણ રીતે સક્રિય નથી.
ચૂંટણી પંચે કયાં કયાં પક્ષોને ફટકારી નોટિસ?
ભારતીય બેકવર્ડ પાર્ટી
ભારતીય સુરાજ દળ
ભારતીય યુવા પાર્ટી (ડેમોક્રેટિક)
ભારતીય જનતંત્ર સનાતન પાર્ટી
બિહાર જનતા પાર્ટી
દેશી કિસાન પાર્ટી
ગાંધી પ્રકાશ પાર્ટી
હમદર્દ જનરક્ષક સમાજવાદી વિકાસ પાર્ટી (જનસેવક)
ક્રાંતિકારી સામ્યવાદી પક્ષ
ક્રાંતિકારી વિકાસ દળ
લોક આવાઝ પાર્ટી
લોકતાંત્રિક સમતા દળ
રાષ્ટ્રીય જનતા પાર્ટી (ભારતીય)
રાષ્ટ્રવાદી જન કોંગ્રેસ
રાષ્ટ્રીય સર્વોદય પાર્ટી
સર્વજન કલ્યાણ લોકતાંત્રિક પાર્ટી
વ્યવસાઈ કિસાન અલ્પસંખ્યક મોરચો
ઉત્તરાખંડના 6 રાજકીય પક્ષોને પણ નોટિસ
ભારતીય જનક્રાંતિ પાર્ટી
હમારી જનમંચ પાર્ટી
મેદાન ક્રાંતિ દળ
પ્રજા મંડળ પાર્ટી
રાષ્ટ્રીય ગ્રામ વિકાસ પાર્ટી
રાષ્ટ્રીય જન સહાય દળ
15 જુલાઈ સુધીમાં જવાબ આપવા આદેશ
ચૂંટણી પંચે આ 23 પક્ષોને 15 જુલાઈ સુધીમાં જવાબ આપવા આદેશ કર્યો છે. પંચે પક્ષોને કહ્યું છે કે, તેઓ પોતાના પક્ષની વાસ્તવિકતાના પુરાવા સાથે બિહાર સ્થિત મુખ્ય ચૂંટણી અધિકારીની ઓફિસમાં 15 જુલાઈ-2025 સુધીમાં રજૂ કરી શકે છે. આ સાથે તેની બીજી કોપી ceo_bihar@eci.gov.in ઈ-મેઈલ પર મોકલવા પણ કહ્યું છે.
23 પાર્ટીઓ ‘ડીલિસ્ટ’ કરાશે
ચૂંટણી પંચે તમામ પક્ષોને ચેતવણી આપી છે કે, ‘જો નિર્ધારિત સમયની અંદર કોઈ જવાબ આપવામાં નહીં આવે તો પંચ તે પક્ષોને ‘ડીલિસ્ટ’ કરવાની પ્રક્રિયા શરૂ કરશે. તે રાજકીય પક્ષની નોંધણી રદ કરવામાં આવશે, જેના કારણે આવા પક્ષો ચૂંટણી ચિન્હ, ટેક્સ રાહત અને પ્રચાર-પ્રસાર માટે મળતા લાભો નહીં મેળવી શકે. મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયે એવું પણ કહ્યું છે કે, ‘આયોગ દ્વારા ફટકારાયેલ નોટિસની કોપી https://ceoelection.bihar.gov.in/rupp.html પર પણ ઉપલબ્ધ છે.
લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-1951 શું છે?
લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-1951 એ ભારતીય લોકશાહીનો એક ખૂબ જ મહત્વપૂર્ણ કાયદો છે. આ અધિનિયમ ભારતીય સંસદ દ્વારા 17 જુલાઈ, 1951ના રોજ પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં લોકસભા (સંસદનું નીચલું ગૃહ) અને રાજ્યોની વિધાનસભા તેમજ વિધાન પરિષદ (રાજ્યના વિધાનમંડળના ગૃહો) ની ચૂંટણીઓના સંચાલન, સભ્યો માટેની લાયકાત અને ગેરલાયકાત, ચૂંટણીઓમાં ભ્રષ્ટ આચરણ અને અન્ય ગુનાઓ તથા ચૂંટણી સંબંધિત શંકાઓ અને વિવાદોના નિરાકરણ માટે જોગવાઈઓ પૂરી પાડવાનો છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-1951 ભારતીય લોકશાહીની પવિત્રતા અને નિષ્પક્ષતા જાળવવા માટે એક આધારભૂત કાયદો છે, જે ચૂંટણી પ્રક્રિયાને નિયંત્રિત કરીને મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ સુનિશ્ચિત કરે છે.