
પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ભારત તરફથી પાકિસ્તાન વિરૂદ્ધ Operation Sindoor ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં 100 આતંકીને ઠાર મારવામાં આવ્યા છે. ભારતની એરસ્ટ્રાઇકમાં IC-814 પ્લેન હાઇજેકનો માસ્ટરમાઇન્ડ આતંકી રઉફ અઝહર પણ ઠાર મરાયો છે.
1999માં નેપાળથી પ્લેન થયુ હતું હાઇજેક
કેન્દ્રમાં ભાજપની સરકાર હતી અને અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે બનેલી આ ઘટનાએ લોકોને સ્તબ્ધ કરી દીધા હતા. કાઠમંડુના ત્રિભુવ એરપોર્ટ પરથી 176 પેસેન્જર સાથેનું વિમાન બપોરે ઉડ્યું તેની મિનિટોમાં જ હાઇજેક થઇ ગયું હતું.
આઠ દિવસના ભારે ડ્રામા પછી ભારતે મસૂદ અઝહર, અહમદ ઉમર સઇદ શેખ અને મુશ્તાક અહમદ શેખ એ ત્રણ આતંકવાદી છોડવા પડ્યા હતા. વિદેશ મંત્રી જસવંત સિંહ ત્રણેય આતંકવાદીને ખાસ વિમાનમાં કંદહાર મુકવા ગયા હતા. ભારતે આતંકવાદીઓ સામે ઘૂંટણ ટેકવી દીધા તેની સામે દેશભરમાં આક્રોશ ફાટી નિકળ્યો હતો.
કંદહાર પ્લેન હાઇજેક કાંડનો 31 ડિસેમ્બરે સાંજે અંત આવ્યો પછી જસવંત સિંહે 1 માર્ચ, 2000ના રોજ સંસદમાં નિવેદન આપીને શું બનેલું તેની વિગતો આપી હતી.
આ વિગતો પ્રમાણે, દિલ્હીના એર ટ્રાફિક કંટ્રોલને 28 ડિસેમ્બરે સાંજે હાઇજેકની માહિતી મળી હતી. વિમાનના પાયલોટ કેપ્ટન શરણે ચાલાકી બતાવીને મોકલેલા કોડેડ મેસેજના કારણે ભારતીય વિમાનનું અપહરણ થયાની સૌને ખબર પડી હતી.
અપહરણકારોએ સૌથી પહેલાં વિમાનને પાકિસ્તાનના લાહોર લઇ જવાની માંગ કરી હતી પણ પાકિસ્તાન દ્વારા લાહોરમાં પ્લેન ઉતારવાનો ઇનકાર કરવામાં આવ્યો ત્યારે ફ્લાઇટને અમૃતસરમાં લેન્ડ કરાઇ હતી. અમૃતસરમાં રિફ્યુલિંગ કરાયું અન 47 મિનિટ પછી ફ્લાઇટ ઉડાન ભરી હતી કેમ કે અપહરણકારોને શંકા હતી કે ઇન્ડિયન કમાન્ડો પ્લેન પર હુમલો કરી શકે છે.
અપહરણકારોએ પ્લેનને લાહોર લઇ જવા કહ્યું પણ પાકિસ્તાને લાહોરમાં વિમાનના ઉતરાણની પરવાનગી ના આપી પણ વિમાનમાં બળતણ સમાપ્ત થઇ ગયું હોવાની સ્થિતિ ગંભીર બની ગઇ હતી. પાયલોટે લાહોર એટીસીને જાણ કરી કે વિમાનમાં બળતણ ખતમ થઇ ગયું છે અને ફ્યુઅલ નહીં ભરાય તો વિમાન તૂટી પડશે. એરક્રાફ્ટને ક્રેશ લેન્ડની ફરજ ના પડે એટલે પ્લેન રાત્રે 8.01 વાગ્યે લાહોરમાં ઉતારીને બળતણ ભરાયું હતું.
લાહોરથી પ્લેન અફઘાનિસ્તાનના કાબુલ માટે રવાના થયું પણ કાબુલ એરપોર્ટ પર નાઇટ લેન્ડિંગની સગવડ ના હોવાથી પ્લેનને દૂબઇ લઇ જવાની ફરજ પડી હતી. 25 ડિસેમ્બરના રોજ સવારે 1.32 વાગ્યે પ્લેન દુબઇમાં લેન્ડ કરાયું ત્યારે દૂબઇમાં કમાન્ડોએ પ્લેનને ઘેરી લીધું હતું. દુબઇના સત્તાવાળાઓએ હાઇજેકર્સ સાથે ચર્ચા કરીને 27 મુસાફરોને મુક્ત કરાવ્યા હતા.મુક્ત કરાયેલા મુસાફરોને સ્પેશ્યલ ફ્લાઇટમાં ભારત પરત લાવવામાં આવ્યા હતા. બીજી તરફ પ્લેન દુબઇથી સવારે 6.20 વાગ્યે રવાના થયું અને 8.33 વાગ્યે અફઘાનિસ્તાનના કંદહાર એરપોર્ટ પર લેન્ડ થયું હતું.
આતંકવાદીઓએ પાંચ આતંકીને છોડવાની માગણી કરેલી પણ ભારે ચર્ચાને અંતે 3 આતંકવાદીને છોડવા સહમતિ સધાઇ પછી 31 ડિસેમ્બરે આતંકવાદીઓના બદલામાં 148 પ્રવાસીને છોડાતાં આ કાંડનો અંત આવ્યો હતો. કંદહાર અપહરણ કાંડે આતંકવાદ સામે લડવાની ભારતની નબળાઇને છતી કરી દીધી હતી.
ભારતે તાલિબાન સામે માગણી કરેલી કે, અપહરણકારો અને હાઇજેકર્સ અને મુક્ત કરાયેલા આતંકવાદીઓને અપરાધી ગણીને તેમને સામે કેસ કરાય પણ તાલિબાને ભારતની વાતને ગણકાર્યા વિના 10 કલાક પછી બધાંને અફઘાનિસ્તાનથી જવા દીધા હતા. પાકિસ્તાને આ બધાંને વાજતે ગાજતે આવકાર્યા અને ભારત તમાશો જોઇ રહેવા સિવાય કંઇ કરી ના શક્યું.
વાજપેયીએ વિમાન અપહરણના સમાચાર મળ્યા પછી કહેલું કે, અમારી સરકાર આતંકવાદ સામે નહીં ઝૂકે.જોકે, 24 કલાકમાં તો વાજપેયીની સરકાર આતંકવાદીઓનાં પગોમાં આળોટી ગઇ હતી. કંદહાર વિમાન અપહરણ કાંડનું કાવતરૂં મસૂદના ભાઇ ઇબ્રાહીમ અઝહરે ઘડેલું. ઇબ્રાહીમે ભારત સરકારને ઘૂંટણિયે પાડીને પોતાના ભાઇ સહિત ત્રણ આતંકવાદીને છોડાવવામાં સફળતા મેળવીને આપણું નાક વાઢી લીધું હતું પણ આપણે ના મસૂદનું કશું બગાડી શક્યા કે ના ઇબ્રાહીમને કંઇ કરી શક્યા.
વિમાન હાઇજેકમાં અબ્દુલ રઉફ અઝહરની શું ભૂમિકા હતી?
અબ્દુલ રઉફ અઝહર 1999ના કંદહાર વિમાન હાઇજેક (IC-814)નો માસ્ટરમાઇન્ડ હતો. તે જૈશ-એ-મોહમ્મદના સંસ્થાપક મૌલાના મસૂદ અઝહરનો નાનો ભાઇ હતો. રઉફે પોતાના ભાઇને ભારતીય જેલમાંથી છોડાવવા માટે હરકત-ઉલ-મુજાહિદ્દીન અને ISI સાથે મળી હાઇજેકનું ષડયંત્ર રચ્યું હતું, તેને કાંઠમાંડુમાં ઓપરેશનની યોજના બનાવી હતી અને હાઇજેકર્સ જેમાં તેનો ભાઇ ઇબ્રાહિમ અતહર સામેલ હતો, જેની સાથે કો-ઓર્ડિનેટ કર્યું હતું. રઉફની ભૂમિકા રણનીતિનું નિર્માણ અને આદેશ આપવાની હતી. બાદમાં તે જૈશ-એ-મોહમ્મદના આતંકી હુમલામાં સક્રિય રહ્યો છે. તે ભારતમાં મોસ્ટ વોન્ટેડ હતો.