
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી છે. આવતીકાલે 29 જાન્યુઆરીના રોજ અમાસના દિવસે ત્રીજા શાહી સ્નાનમાં આશરે 10 કરોડ તીર્થયાત્રીઓ જોડાય તેવો અંદાજ છે. મૌની અમાસના શાહી સ્નાનમાં ભાગ લેવા માટે આવનારા શ્રદ્ધાળુઓ માટે પ્રયાગરાજના રેલ્વે સ્ટેશનો પર દર ચાર મિનિટે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.
એક જ દિવસમાં 150 સ્પેશિયલ ટ્રેન
મૌની અમાસ આવતીકાલે બુધવારે છે. તે દરમિયાન શ્રદ્ધાળુઓની સંખ્યા વધવાના અંદાજ સાથે ભારતીય રેલ્વેએ પ્રયાગરાજ સ્ટેશન પર દર ચાર મિનિટે એક સ્પેશિયલ ટ્રેન દોડાવવાની તૈયારી કરી છે. આ એક જ દિવસમાં 150 જેટલી સ્પેશિયલ ટ્રેન મુકાશે. અગાઉ વર્ષ 2019માં અર્ધકુંભ દરમિયાન મૌની અમાસ પર 85 ટ્રેન દોડાવવામાં આવી હતી.
આ પણ વાંચો: ઉત્તર પ્રદેશ: રોક બેન્ડ કોલ્ડપ્લેનો સિંગર ક્રિસ માર્ટિન પહોંચ્યો મહાકુંભમાં
15 કરોડ લોકોએ મહાકુંભમાં ભાગ લીધો
13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધી 15 કરોડ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે. પ્રથમ દિવસે જ 1.65 કરોડ શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા. 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહાકુંભમાં 45 કરોડથી વધુ શ્રદ્ધાળુ આવવાનો અંદાજ છે. આવતીકાલે પણ 10 કરોડ લોકો શાહી સ્નાનમાં જોડાય તેવી સંભાવના છે.
રેલ્વે સ્ટેશનો પર ખાસ વ્યવસ્થા
ભારતીય રેલ્વેએ પ્રયાગરાજ મહાકુંભ આવતાં યાત્રાળુઓની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરી છે. મૌની અમાસ નિમિત્તે અંદાજ 400થી વધુ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી છે. જેમાં શાહી સ્નાનના દિવસે 150 સ્પેશિયલ ટ્રેન મૂકાશે. ચાર રિંગ રેલ સર્વિસિઝ સાથે રોજની 200 ટ્રેન પણ ઓપરેટ થશે. વધુમાં શ્રદ્ધાળુઓ માટે પ્રયાગરાજ જંક્શનથી અયોધ્યા શટલ પણ સંચાલિત છે. પ્રયાગરાજ રામબાગ અને ઝુસી સ્ટેશનો પર 80 યુટીએસ કાઉન્ટર અને 20 ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન લગાવવામાં આવ્યા છે. તદુપરાંત ભીડને નિયંત્રિત કરવા માટે 30 મોબાઈલ યુટીએસ કાઉન્ટર પણ મૂકવામાં આવ્યા છે.