
રાજસ્થાન સરકાર ધર્મ પરિવર્તન અને લવ જેહાદ જેવા મુદ્દાઓ પર કડક વલણ અપનાવવાના મૂડમાં છે. રાજસ્થાન વિધાનસભામાં ધર્માંતરણ વિરોધી બિલ રજૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ગજેન્દ્ર સિંહે આ બિલ રજૂ કર્યું છે. આ બિલ બજેટ સત્રમાં જ ચર્ચા બાદ પસાર કરવામાં આવશે. બિલ પસાર થવાની તારીખ પછીથી નક્કી કરવામાં આવશે. આ બિલમાં લવ જેહાદ વિરુદ્ધ પણ જોગવાઈઓ છે. બિલમાં લવ જેહાદને વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે.
ફેમિલી કોર્ટ આવા લગ્નને રદબાતલ જાહેર કરી શકે
જો કોઈ વ્યક્તિ ધર્મ પરિવર્તન કરવા માટે લગ્ન કરે છે, તો તેને લવ જેહાદ ગણવામાં આવશે. જો એ સાબિત થાય કે લગ્નનો હેતુ લવ જેહાદ છે તો આવા લગ્ન રદ કરવાની જોગવાઈ હશે. જો કોઈ વ્યક્તિ પોતાનો ધર્મ બદલવાના ઈરાદાથી લગ્ન કરે છે. ફેમિલી કોર્ટ આવા લગ્નને રદબાતલ જાહેર કરી શકે છે.
૬૦ દિવસ પહેલા આપવી પડશે ધર્મ પરિવર્તન અંગેની માહિતી
સ્વૈચ્છિક ધર્મ પરિવર્તનના કિસ્સામાં જે તે વ્યક્તિએ 60 દિવસ અગાઉ કલેક્ટરને જાણ કરવી પડશે. આ સમયગાળા દરમિયાન તપાસ થશે કે કોઈ પણ વ્યક્તિ છેતરપિંડી, બળજબરી અથવા કોઈ લાલચ આપીને ધર્માંતરણ કરાવી રહી નથી. જો કોઈ વ્યક્તિ કે સંગઠન આવું કૃત્ય કરશે તો તેમને કડક સજા કરવામાં આવશે.
ગેરકાયદેસર ધર્મ પરિવર્તનમાં મદદ કરવા બદલ સજા
ગેરકાયદેસર ધર્મ પરિવર્તનમાં મદદ કરનારાઓને પણ સજાની દૃષ્ટિએ ગુનેગાર ગણવામાં આવશે. વિધાનસભા દ્વારા બિલ પસાર થયા પછી, રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ કાયદો બની શકે છે. ધર્મ પરિવર્તન એક સંવેદનશીલ મુદ્દો છે, જેની ચર્ચા ઘણીવાર થાય છે અને રાજકીય વર્તુળોમાં પણ આ મુદ્દાની ખૂબ ચર્ચા થાય છે.