
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારક માટે કેન્દ્ર સરકાર તરફથી પરિવારને જમીન આપવાની ઓફર કરી છે. આ જમીન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સ્મારક માટે નિર્ધારિત જમીનની નજીક ફાળવવામાં આવી છે. આ મામલે સરકાર મનમોહન સિંહના પરિવાર દ્વારા ટ્રસ્ટ બનાવવાની રાહ જોઈ રહી છે. એ પછી સત્તાવાર જમીન ફાળવાશે. એક અહેવાલ મુજબ, સરકાર દ્વારા ટ્રસ્ટને ૨૫ લાખ રૂપિયાની રકમ પણ આપવામાં આવશે. આ રકમ સ્મારકના નિર્માણ પાછળ ખર્ચવામાં આવશે. મનમોહન સિંહના મૃત્યુ પછીથી સરકાર જમીન શોધતી હતી. જેના માટે એક સર્વે પણ કરવામાં આવ્યો હતો. શહેરી વિકાસ મંત્રાલય અને સીપીડબ્લ્યુડીએ સંયુક્ત રીતે મનમોહન સિંહના સ્મારક માટે જમીનનો નિર્ણય લીધો છે.
આ જમીન રાષ્ટ્રીય સ્મારક હેઠળ આવે છે, જેને યુપીએ સરકારે 2013માં એક પ્રસ્તાવ લાવીને નિર્ધારિત કરી હતી. આ સંકુલ નીચે અટલ બિહારી વાજપેયીનું સ્મારક પણ છે. જાન્યુઆરીની શરૂઆતમાં, CPWD અધિકારીઓએ રાષ્ટ્રીય સ્મારકની મુલાકાત લીધી હતી અને સંજય ગાંધીની સમાધિ પાસે જમીન આપવાની ચર્ચા થઈ હતી. એવું કહેવાય છે કે, મનમોહન સિંહના પરિવારને કેટલીક જગ્યાઓનો પ્રસ્તાવ આપ્યો હતો જેમાંથી એક જમીન ઉપર સહમતિ સધાઈ છે. મનમોહન સિંહના અવસાન પછી તેમના અંતિમ સંસ્કાર મુદ્દે પણ રાજકારણ ગરમાયું હતું. મનમોહન સિંહના અવસાન બાદ કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો.
ખડગેએ કહ્યું હતું કે, મનમોહન સિંહના અંતિમ સંસ્કાર તે જ જગ્યાએ કરવામાં આવે જ્યાં તેમનું સ્મારક બનાવી શકાય. આ અંગે સરકારનો જવાબ એ હતો કે અમે સ્મારક માટે જમીન શોધવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યા છીએ. બીજા બધા નેતાઓની જેમ તેમનું પણ સ્મારક સારી રીતે બનાવવામાં આવશે. જોકે, તેમના અંતિમ સંસ્કાર નિગમ બોધ ઘાટ પર કરવામાં આવ્યા હતા. સરકારે કહ્યું કે, જ્યાં સ્મારક બનવાનું છે ત્યાં જ અંતિમ સંસ્કાર કરવાનું શક્ય નહોતું કારણ કે તે સ્થળ હજુ શોધવાનું બાકી હતું.